Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રિવર ફ્રન્ટની કામગીરી આગળ ધપાવવા પ્રોજેકટનું પ્રેઝેન્ટેશન

આજી નદીએ રિવર ફ્રન્ટના પ્રથમ તબક્કે બંને કાંઠે સુરક્ષા દિવાલ બનાવાશે

આશરે ૧૧ કિ.મી.ના આજી નદીના વિસ્તારમાં નિર્માણ પામશે રમણીય સ્થળ : મેયર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ અગ્રણી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, મ્યુનિ. કમિશનરની ઉપસ્થિતિમાં મહત્વકાંક્ષી પ્રોજેકટના વિવિધ પાસાઓની ગહન ચર્ચા

રાજકોટ તા. ૧૨ : મહાનગરપાલિકાના આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટને ઝડપભેર આગળ ધપાવવા અંગે આજે તા. ૧૨ના શનિવારે મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો. આ મીટીંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ બી. જી. પ્રજાપતિ અને એ.આર.સિંઘ, સિટી એન્જી.શ્રીઓ એમ. આર. કામલીયા, શ્રી વાય. કે. ગૌસ્વામી તેમજ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કન્સલ્ટિંગ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ વિદેશમાં રાજકોટની પ્રતિષ્ઠા વધે તેવા અનેક પ્રોજેકટની ભેટ આપી ચુકેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરની ખુબસુરતીમાં વધારો કરે અને નાગરિકોને હરવા ફરવા માટે વધુ શાનદાર સ્થળ પ્રાપ્ત થાય તેવા હેતુથી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટની ભેટ આપેલી છે. જે અંતર્ગત આજી નદીનો ૧૧ કિ.મી. નો બેલ્ટ રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે. આજી નદીમાં ઠલવાતા સુએઝ વોટરને ઇન્ટરસેપ્ટર લાઈન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવા માટેની કામગીરી હાલ ચાલુ છે. આ પ્રોજકટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું કલીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરી તેમજ અન્ય વિભાગોના કલીયરન્સ મેળવવાની પ્રક્રિયા ત્વરિત આગળ ધપાવવા માટેના પ્રયાસ તેજ બનશે. આ પ્રોજેકટ અંતર્ગત ૬ ચેકડેમ અને ૩ બેરેજ બનાવવામાં આવશે તેમજ આજી – ૧ ડેમનો ઓવરફલો ન હોય ત્યારે પાણી ફરતું રહે તેવા યાંત્રિક સાધનો મુકવામાં આવશે સાથોસાથ પાકર્સ એન્ડ ગાર્ડન, ફૂડ ઝોન પણ બનાવવામાં આવશે. 

રાજકોટ શહેર એ આજી નદીનાં કિનારે વસેલું સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. રાજકોટ શહેરનાં ઝડપી વિકાસનાં કારણે શહેર આજીનદીનાં બન્ને કાંઠા એટલે કે પુર્વ અને પશ્ચિમ દિશામાં ઝડપભેર વિકસેલ છે. જેને કારણે આજી નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. વર્ષો પહેલા આજી નદી બારે માસ વહેતી હતી, પરંતુ વાતાવરણમાં થયેલ ફેરફારો તથા આજી નદી ઉપર બાંધવામાં આવેલ જુદા– જુદા ચેક ડેમોનાં કારણે હાલ માત્ર ચોમાસામાં જ પાણી રહે છે અને વર્ષનાં બાકીનાં સમયમાં પાણી રહેતું નથી.

રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા  વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ હાથ ધરેલ છે. આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટનો કૂલ ખર્ચ આશરે રૂ.૧૧૮૧ કરોડ થનાર છે. વિશેષમાં આજી નદીનાં પુનઃવિકાસ માટેનું આયોજન કરી ઝડપથી અમલમાં મુકીને તેને મોનિટરીંગ કરી શકાય તે માટે તત્કાલીન પ્રભારી મંત્રીનાં અધ્યક્ષતા હેઠળ ગવર્નીંગ કાઉન્સીલની રચના કરવામાં આવેલ છે. આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદની નિમુણક થયેલ છે.

ઉકત રીવરફ્રન્ટ પ્રોજેકટમાં આજી નદીની લંબાઈ આજી-૧ ડેમથી રાજકોટ શહેરની ઉત્ત્।ર દિશામાં પસાર થતી રીંગરોડ સુધી આશરે ૧૧ કિમી લેવામાં આવેલ છે અને તેમાં દક્ષિણ દિશાની રીંગ રોડથી આજી નદીમાં મળે ત્યાં સુધી ખોખડદડ નદીનાં વિકાસ કામનો સમાવેશ પણ કરવામાં આવેલ છે. આજી નદીની પહોળાઈ ૮૦ મીટરથી ૧૫૦ મીટર સુધીની રહે છે. આજી નદીમાં રીવરફ્રન્ટ  માટેના તૈયાર કરાયેલ માસ્ટર પ્લાનમાં જરૂરી ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર, આજી નદીની બંને બાજુ દિવાલ અને એન્ટ્રીનુ કામ, વોટર રીપ્લેનિશ્મેન્ટ માટેનુ નેટવર્ક તથા આજી નદીની બંને બાજુ નવા રસ્તાનું નેટવર્ક સહિતના પ્રોજેકટોનું આયોજન હાથ ધરેલ છે.

ઉપરોકત મુખ્ય કામો માટેની અંદાજીત ખર્ચ (૧૫% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ. ૪૮૦ કરોડ જેટલું થશે. તથા આજી નદીમાં રીવરફ્રંટ માટે તૈયાર થયેલ માસ્ટર પ્લાનમાં નીચે મુજબનાં વધારાના વ્યાપક અમલીકરણના પ્રોજેકટો બનાવવાનું પણ આયોજન છે, જુના રેલ્વે બ્રીજ માટે રીનોવેશન તથા ઉપરોકત વધારાના માળખાકીય બાંધકામોનું અંદાજીત ખર્ચ (૧૫% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ. ૭૦૧ કરોડ જેટલું થશે.આમ, સમગ્ર પ્રોજેકટનું કૂલ ખર્ચ આશરે ૧૧૮૧ કરોડ જેટલું થવા અંદાજ છે.

હાલ રાજયસરકારશ્રી હસ્તકની SEAC (STATE LEVEL EXPERT APPRAISAL COMMITTEE) સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવેલ છે. તથા રાજય સરકારશ્રી તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર ટેન્ડર પ્રક્રીયા હાથ ધરી આ પ્રોજેકટને અમલમાં મુકવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આજી રીવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત આયોજન

(૧) આજી નદીની બંને તરફ આર.સી.સી રિટેઈનીંગ વોલનું કામ

(૨) આજી નદીની બંને તરફ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવરનું કામ

(૩) આનુસંગિક જરૂરી રોડ નેટવર્કનું કામ 

આજી રીવર ફ્રન્ટ પ્રોજેકટ અન્વયે મહાનગરપાલિકા દ્વારા કરાયેલ પ્રગતિની વિગતો

(૧) હાલમાં રામનાથપરા મંદિરના સામેના ભાગે આવેલ મનહરપરા વિસ્તારમાં નદીમાં થયેલા દબાણો દુર કરી નદીની પહોળાઇ પ્રમાણે દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જેનું ખર્ચ રૂ.૧૬.૨૮ લાખ થયેલ છે. તથા કોલમ વાળી દીવાલમાં કોલમ વચ્ચેના ખાલી ભાગમાં મેશનરીનું કામ હાલ ચાલુ છે જેનું અંદાજીત ખર્ચ રૂ. ૧૭.૯૫ લાખ થશે. જે કામ પૂર્ણ થયેલ છે.

(૨) ચુનારાવાડ પાસે દુધસાગર રોડ પરનો હયાત બ્રીજની બાજુમાં નવા હાઇ-લેવલ બ્રીજનું કામ પૂર્ણ થયેલ છે. 

(૩) નદીની પૂર્વ તથા પશ્ચિમ બંને કિનારાની ઈન્ટરસેપ્ટર સીવર લાઈનનું કામ ચાલુ છે.

(4:31 pm IST)