Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મ.ન.પા. દ્વારા ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ જતા ૫૦થી વધુ વિદ્યાર્થીઓનું તાકિદે રસીકરણ

કેનેડા - જર્મની - ઓસ્ટ્રેલિયા જનાર યુવા વિદ્યાર્થીઓને બીજો ડોઝ આપ્યા બાદ પ્રમાણપત્રો પણ અપાયા : નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ તા. ૧૨ : કોરોનાની સામે સુરક્ષિતા અપાવતી વેકસીન હાલ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને રજીસ્ટ્રેશન દ્વારા આપવામાં આવે છે. રાજય સરકાર દ્વારા વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ભારતીય વેકસીન ત્યાં પણ માન્યતા પ્રાપ્ત હોઈ તેઓને વિદેશ જવામાં સરળતા રહે તે માટે અગ્રતાના ધોરણે રસી આપવાની કામગીરી હાથ ધરાઈ છે.

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા રામનાથપરા ખાતે અલાયદુ વેકસીન કેન્દ્ર ખોલી અહીં જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગતા હોઈ તેઓને ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે તેમ નાયબ આરોગ્ય અધિકારીશ્રી પી.પી.રાઠોડે જણાવ્યું છે.

આજ સુધીમાં કેનેડા માટે ૩૪ યુવાનો, ૭ યુવતીઓ, જર્મની માટે ૩ યુવક, યુ.કે માટે ૩ યુવક. ઓસ્ટ્રેલિયા જવા માટે ૨ યુવક અને ૧ યુવતી તેમજ ફ્રાન્સ માટે ૧ યુવક મળી કુલ ૫૨ જેટલા યુવા વિદ્યાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું ડો. રાઠોડે જણાવ્યું છે. હાલ જ જેમને બીજો ડોઝ મળી ચુકયો છે તેવા વિદ્યાર્થી જલ્પેશ સુરાણી આગામી તા. ૭ જુલાઈના રોજ કેનેડા ખાતે હેલ્થ ઈન્ફોર્મેટિકસનો કોર્સ કરવા જવાના છે. તેમણે રાજય સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર માનતા જણાવ્યું હતું કે, જો મને રસીનો બીજો ડોઝનો મળ્યો હોત તો મારે કેનેડા જઈ ત્યાંના નિયમ મુજબ હોટેલમાં કોવરેન્ટાઇન થવું પડત, જેનો બહુ બધો ખર્ચ પણ થાય, જે મને રસી મળી રહેતા બચી ગયો છે. તેમજ હુ મારી કોલેજ પણ તુરંત જોઈન કરી શકીશ. આવી જ રીતે અનેક વિદ્યાર્થીઓને રસીના બંને ડોઝ મળી રહે વિદેશ જવું સરળ બની રહેશે તેમ જલ્પેશ જણાવે છે. આરોગ્ય વિભાંગ દ્વારા વિદ્યાર્થીઓને બંને ડોઝ મળી ગયાનું સર્ટિફિકેટ પણ તાત્કાલિક આપી દેવામાં આવે છે. રસીનો બીજો ડોઝ લેવા જરૂરી ડોકયુમેન્ટ સાથે જવાથી વિદ્યાર્થીઓને સરળતાથી કોવીશીલ્ડનો બીજો ડોઝ ૨૮ દિવસ બાદ મળી શકશે. જેના માટે ૮૪ દિવસ સુધી રાહ જોવી નહીં પડે તેવી આરોગ્ય વિભાગ દ્વારા વૈકલ્પિક સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

(4:35 pm IST)