Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટ અગ્નિકાંડ : દોઢ માસ બાદ જજ તપાસ માટે પહોંચ્યા

આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી : કોવિડ હોસ્પિ.માં લાગેલ આગમાં ૬ દર્દીનાં મોત નિપજ્યા હતા જેની તપાસ જજ મહેતા કમિટીને સોંપવામાં આવી છે

રાજકોટ, તા. ૧૨ : શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેની તપાસ જસ્ટિસ મહેતા કમિટીને સોંપવામાં આવી છે. નિવૃત જજ મહેતાની કમિટી તપાસ માટે રાજકોટ પહોંચી છે. આગ લાગ્યાને દોઢ મહિનો થઇ ચુક્યો હોવા છતા આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. જેના રિપોર્ટની હજી રાહ જોવાઇ રહી છે. મહેતા કમિટી આજે સમગ્ર મામલે તપાસ કરવા માટે રાજકોટ પહોંચી હતી. જો કે સવાલ છે કે, દોઢ મહિનો થયો હોવા છતા કેસની તપાસ ક્યારે પુર્ણ થશે તે એક મોટો સવાલ છે.

જસ્ટિસ મહેતા અને તેની કમિટી રાજકોટ તપાસ અર્થે પહોંચી હતી. કમિટી દ્વારા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવાઇ હતી. કમિટીમાં મનપાના અધિકારીઓ, ફાયર અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ બેઠક પણ યોજવામાં આવી હતી. ટુંક સમયમાં મહેતા કમિટીનો અહેવાલ આવે તેવી શક્યતા છે. ૨૭ નવેમ્બરના રોજ ઉદય શિવાનંદ હોસ્પિટલનાં ICU વિભાગમાં આગ લાગી હતી. જેમાં દર્દીઓનાં મોત નિપજ્યાં હતા.

અગ્નિકાંડમાં દર્દીના મોત થયા રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જે ટીમ દ્વારા પાંચ તબીબ ડો પ્રકાશ મોઢા, વિશાળ મોઢા, તેજસ કરમટા, તેજસ મોતીવરસ અને દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ કલમ ૩૦૪ () હેઠળ ગુનો દાખલ કરાયો હતો. તમામ આરોપીઓને કોર્ટ દ્વારા જામી પર મુક્ત કરી દેવાયા હતા. ત્યારે નિવૃત જજ મહેતા અને તેની કમિટીના સભ્યો સાથે પોલીસ વિભાગ, ફાયર વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગનાં અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાશે.

(8:07 pm IST)