Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મહિલા દર્દીનું મોતઃ વાલીવારસ મળતાં નથી

દાખલ કરતી વખતે રમિલાબેન લખતરીયા નામ લખાવાયુ હતું: જે સરનામુ લખાવાયું હતું ત્યાં કોઇ મળ્યું નહિઃ વાલીવારસ હોય તો તુરત હોસ્પિટલે સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૩: સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં તા. ૮/૫ના રોજ દાખલ કરવામાં આવેલા મહિલા દર્દીનું ૧૨/૫ના રાતે અગિયાર વાગ્યે મૃત્યુ નિપજ્યું છે. તેમને ટ્રોમાકેર વિભાગના કોવિડ વોર્ડમાં ત્રીજા માળે દાખલ કરાયા હતાં. આ દર્દીનું નામ દાખલ કરતી વખતે રમિલાબેન અશ્વિનભાઇ લખતરીયા (ઉ.વ.૪૫) અને સરનામુ એસ્ટ્રોન સોસાયટી લખાવેલું હતું. તેમજ મોબાઇલ નંબર લખાવેલા હતાં.

પરંતુ હવે આ મહિલા મૃત્યુ પામ્યા પછી તેમના સગાનો સંપર્ક થતો નથી. જે મોબાઇલ નંબર લખાવાયા હતાં એ પણ કનેક્ટ થતાં નથી. જે એડ્રેસ લખાવાયું હતું એ સ્થળે હોસ્પિટલનો સ્ટાફ તપાસ કરવા ગયો હતો. પરંતુ એ સ્થળ પર આવા કોઇ મહિલા રહેતાં નથી તેવું જણાવાયું છે. તસ્વીરમાં દેખાતા મહિલાના કોઇ વાલીવારસ, પરિચીત હોય તો તુરત જ સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં સંપર્ક કરવા આર.એમ.ઓ. ડો. એમ. સી. ચાવડાએ જણાવ્યું છે.

(3:10 pm IST)