Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

'ઇન્ડિયા સાઇકલ ફોર ચેન્જ' : મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે કરેલ અપીલને નિરંતર પ્રતિસાદ

સતત છઠ્ઠા શુક્રવારે પણ મનપાના અધિકારીઓ - કર્મચારીઓ ઘરેથી ઓફિસ સુધી સાયકલ કે ચાલીને આવ-જા કરી

રાજકોટ તા. ૧૩ : શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ' ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ - કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, ચાલીને કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જેને મનપાના અધિકારીઓ - કર્મચારીઓ દ્વારા નિરંતર પ્રતિસાદ મળી રહ્યો છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સતત છટ્ઠા શુક્રવારે પણ ઘરેથી ઓફીસ સુધી સાયકલ અથવા ચાલીને ઓફીસ આવ-જા કરી હતી.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સાયકલએ ટ્રાન્સપોર્ટેશન માટેના એક સારા વિકલ્પની ઉપલબ્ધિ છે, પર્યાવરણના સંરક્ષણ માટે તેમજ તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ જોઈએ ટી શરીરને તંદુરસ્ત રાખવું ખુબ જરૂરી છે, શહેરના તમામ લોકો સાયકલનો વધુ પડતો ઉપયોગ કરે જેના માટે સરકારશ્રી દ્વારા સાયકલ ખરીદી પર સબસીડી પણ આપવામાં આવે છે. સાયકલિંગ કરવાથી જીવન રેખા બદલી શકાય છે. સિટીમાં સાયકલનો ઉપયોગ કરવાથી પ્રદુષણ થતું અટકાવી શકાય છે. ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. પોતાનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.

મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરશ્રીએ અપીલ કરી હતી કે, સપ્યાહમાં એક દિવસ શુક્રવારે ઘરેથી ઓફીસ આવવા – જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા પૈદલ કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે શરૂઆત પોતાનાથી કરેલ અને સતત આજે છઠ્ઠા શુક્રવારે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતી. ઉપરાંત નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ સહિતના અધિકારીઓ/કર્મચારીઓ આજે સાયકલ લઈને ઓફીસ આવ-જા ઉપરાંત ફિલ્ડમાં પણ સાયકલ લઈને કામગીરી કરશે.

સાઇકલિંગથી મળશે

અનેક ફાયદા

- ટ્રાન્સ્પોર્ટેશન માટેનો એક સારો વિકલ્પ

- પર્યાવરણના સંરક્ષણમાં ઉપયોગી થાય

- સાઇકલિંગ કરનારનું આરોગ્ય સારૃં રહે.

(2:54 pm IST)