Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

બેભાન હાલતમા નિલેષ વાઘેલા અને મધુબેન સોલંકીએ દમ તોડ્યો

હનુમાન મઢી પાસેના રામનગર અને અલ્કાપુરીમાં બનાવ

રાજકોટ તા. ૧૪: બેભાન હાલતમાં વધુ બે વ્યકિતએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ રામનગર-૩માં રહેતો નિલેષ બકુલભાઇ વાઘેલા (ઉ.વ.૩૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નિલેષ કલર કામ કરતો હતો અને પરિવારને મદદરૂપ થતો હતો. કરૂણતા એ છે કે તે બે બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. હાર્ટએટેક આવી ગયાનું તેના પિતા બકુલભાઇએ કહ્યું હતું.

બીજા બનાવમાં અલ્કાપુરી-૨માં રહેતાં મધુબેન હરેશભાઇ સોલંકી (ઉ.વ.૪૦) સાંજે ઘરે બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મધુબેનને મગજમાં ટીબી હતું. તેની સારવાર ચાલુ હતી. પતિ ઇકોના ફેરા કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:06 pm IST)