Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

અકસ્માતમાં બજરંગવાડીના મનુભાઇના મૃત્યુ બાદ પુત્ર મહેશભાઇ મેરનું પણ મોતઃ પરિવારમાં શોક

ત્રણ મહિના પહેલા પરિવારજનો માતાજીના દર્શન કરવા જતાં હતાં ત્યારે જસદણના ભડલી ગામ નજીક પાસે કુતરૂ આડે ઉતરતાં કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો

રાજકોટ તા. ૧૪: ત્રણ મહિના પહેલા જસદણના ભડલી ગામ નજીક કુતરૂ આડે ઉતરતાં કાર પલ્ટી મારી જતાં બજરંગવાડીના મનુભાઇ પુનાભાઇ મેર (ઉ.વ.૬૩)નું ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં ઘવાયેલા તેના પુત્ર મહેશભાઇ મનુભાઇ મેર (ઉ.વ.૩૮)એ પણ હવે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ બજરંગવાડી-૧૦માં રહેતાં મનુભાઇ મેર અને તેમના પરિવારના સભ્યો તા. ૨૬/૩ના રોજ ઘરેથી કારમાં બેસી માતાજીના દર્શન કરવા, માનતા પુરી કરવા જઇ રહ્યા હતાં ત્યાર ભડલી ગામ પાસે કુતરૂ આડે આવતાં કાર પલ્ટી મારી જતાં પરિવારના સભ્યોને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમાં મનુભાઇ મેર અને પુત્ર મહેશભાઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ૩૦/૩ના રોજ મનુભાઇને રજા અપાતાં ઘરે લઇ જવાયા હતાં. એ પછી તબિયત બગડતાં ૫/૪ના રોજ મોત નિપજ્યું હતું.

પુત્ર મહેશભાઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમનું ગઇકાલે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. કારમાં મહેશભાઇ સાથે પિતા, માતા, પત્નિ અને ભાણેજ પણ હતાં. આ બધાને પણ ઇજાઓ થઇ હતી. એક જ પરિવારમાં પિતા બાદ પુત્રનું પણ મોત નિપજતાં શોક છવાઇ ગયો હતો. મહેશભાઇના મૃત્યુ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(12:58 pm IST)