Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પુનાથી રાજકોટ પુત્રની સગાઇનું નિમંત્રણ આપવા આવેલા પિતાનું મૃત્યુ

અનિલભાઇ દુદકીયા ચંદ્રેશનગરમાં કુટુંબી ભાઇના ઘરની બહાર નીકળ્યા ત્યાં જ ઢળી પડ્યાઃ હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ સુથાર પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૪: જિંદગીની સફર ગમે ત્યાં અને ગમે ત્યારે ખતમ થઇ જતી હોય છે. પુના (મહારાષ્ટ્ર)થી રાજકોટ પોતાના એકના એક પુત્રની સગાઇનું આમંત્રણ આપવા રાજકોટ સગાને ત્યાં આવેલા પિતાનું હૃદય બેસી જતાં મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

પુના રહેતાં અનિલભાઇ મધુસુદનભાઇ દુદકીયા (ગુર્જર સુથાર) (ઉ.વ.૫૫) રાજકોટ ચંદ્રેશનગર-૯ અલ્કા સોસાયટીના ખુણે રહેતાં કુટુંબી ભાઇ અજયભાઇ દુદકીયાના ઘરે આવ્યા હોઇ અહિ રાતે ઘરની બહાર નીકળયા ત્યાં જ એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ  માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર અનિલભાઇ ચાર ભાઇમાં ત્રીજા હતાં. પોતે પુનાના જ વતની હતાં. સંતાનમાં એક પુત્ર સોૈરવ છે. જે પ્રાઇવેટ નોકરી કરે છે. પુત્રની આગામી મહિને સગાઇ હોઇ તેમનું આમંત્રણ આપવા અને રાજકોટમાં જ સગાઇ કરવાની હોઇ વાડી રાખવી હોઇ તે નક્કી કરવા માટે પણ આવ્યા હતાં. પરંતુ અચાનક જિંદગીનો અંત આવી ગયો હતો અને પરિવારની ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ હતી.

(11:15 am IST)