News of Wednesday, 14th October 2020
રાજકોટ તા. ૧૪ : સમરસ હોસ્ટેલમાં આરોગ્યકર્મીઓ અને અન્ય સેવારત કર્મયોગીઓની સમર્પિત સેવાભાવ સાથે દર્દી નારાયણની સેવા કરવામાં આવી રહી છે.હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વેળાએ અનેક દર્દીઓ ડોકટર આરોગ્યકર્મીઓના ઋણી હોવાનો અહેસાસ સાથે ભાવુક બની ગયો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સમરસમાં કાર્યરત આરોગ્ય કર્મીઓની સચોટ સારવારથી ૭૦ વર્ષથી વધુ વયના પાંચ દંપતીઓ કોરોના મુકત થયા છે.
આ પૈકી ૬૪ વર્ષીય ચંદુલાલ સંચાણીયા તેમને મળેલી સારવારના અનુભવને વર્ણવતા જણાવે છે કે, 'મને તાવ આવવાનો શરૂ થયો અને હું કશું જમી શકતો નહોતો. પહેલાં તો એક દિવસ સામાન્ય દવા લીધી પણ કોઈ ફરક પડ્યો નહીં. શરદી, ઉધરસ કે કફનાં કોઈ લક્ષણો નહોતા. તેથી બીજા દિવસે ગાંધીગ્રામ આરોગ્ય કેન્દ્રમાં હું અને મારી પત્ની શારદા ટેસ્ટ કરાવવા ગયા, ત્યાં કોરોના પોઝિટિવ આવતા, આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. તેમા પોઝિટિવ આવ્યો. એટલે અમે સમરસ હોસ્ટેલમાં અમે દાખલ થયા, અહીંનો સ્ટાફ ખુબ માયાળુ છે, બહાર જે સમરસ માટે વાતો થાય છે તે માત્ર અફવા છે. રાજકોટમાં આટલા સારા ડોકટર, હોસ્પિટલ, સ્ટાફ કયાય નહિ મળે, અડધી રાત્રે જરૂર પડે તો પણ સ્ટાફ ખડે પગે અમારા માટે કાર્યરત હોય છે. મને અહીના ખોરાક અને તમામ સુવિધાથી સંપૂણ સંતોષ છે. હું અન્યને પણ કહું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી કોરોના અંગેની જાગૃતિ અને પરેજી કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરશે.'
મૂળ જેતપુરના વતની ૭૦ વર્ષીય ગોપાલદાસ રામુ તેમનો અનુભવ અને લાગણી વ્યકત કરતા કહે છે કે, અમે સાંજે વોકિંગ અને જોગિંગ કરતા હતા ત્યારે મને થાક લાગે છે એવો અહેસાસ થયો, ત્યારે મારી પત્ની હિનાપણ મારી સાથે હતી. તે દિવસે રાત્રે મને થોડી ઠંડી લાગી. અગિયાર વાગ્યા આસપાસ તાવની શરૂઆત થઈ અને મોડી રાત્રે તાવ વધી ગયો. એટલે સવારે મેં ફેમિલી ડોકટર પાસે જઈને કોરોના ટેસ્ટ કરાવ્યો ત્યાં અમારા બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એટલે અમે પતિ-પત્ની તુરંત રાજકોટ સિવીલીમાં સારવાર માટે આવ્યા પરંતુ કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા અમને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યા, અહી અમને વી.આઈ.પી. સુવિધા મળી છે, જે મારા અનુભવથી કહું છું. આજે મને જયારે ખુબ સારું થઈ ગયું છે અને મને નવો અવતાર મળ્યો છે ત્યારે ચોક્કસ કહીશ કે આવો સ્ટાફ અને ડોકટરની ટીમ કે જેઓ મને ઓળખતા પણ નથી તેઓએ મારી ખુબ સારી સેવા કરી છે. જેમનો હું દિલથી આભારી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચંદુલાલભાઈ અને ગોપાલદાસભાઈ ની જેમ અન્ય ૩ દંપતી સહીતઓએ સમરસ હોસ્ટેલમાં કાર્યરત આરોગ્યકર્મીઓની સઘન સારવારથી કોરોનાને સફળતાથી મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે.