Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડો મગફળીની આવકોથી છલોછલઃ અઢીલાખ ગુણીની આવકો

રાજકોટ યાર્ડમાં દિવાળી પૂર્વે ૬પ૦૦૦ ગુણીની વિક્રમજનક આવકઃ મગફળીના ભાવો સ્થિરઃ આંધપ્રદેશના વેપારીઓએ રાજકોટ યાર્ડમાંથી મગફળી ખરીદી

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકો થતા મગફળીના જથ્થાની યાર્ડો છલોછલ થઇ ગયા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે અઢી લાખ ગુણી મગફળીની વિક્રમજનક આવકો  થઇ હતી.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા ૬પ૦૦૦ ગુણી મગફળીની આવકો થઇ હતી. દિવાળી પૂર્વે એક જ દિ'માં મગફળીની આ આવક વિક્રમજનક હોવાનું યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું હતું. બીજી બાજુ સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર, જસદણ, અમરેલી, તળાજા, જુનાગઢ, હળવદ તથા જામજોધપુર સહિતના યાર્ડોમાં એકજ દિ'માં મગફળીની અઢીલાખ ગુણીની આવકો થઇ હતી ગોંડલ યાર્ડમાં મગફળીની એક લાખ ગુણીની આવકો થયા બાદ આવકો બંધ કરાઇ છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના ખેડુતોએ મોટાભાગે મગફળીનું વાવેતર કર્યું છે ગત વર્ષે ખેડુતોને કપાસમાં નુકશાન જતા મોટાભાગના ખેડુતો મગફળીનું વાવેતર કર્યું છે. અને વરસાદ પણ સારો પડતા મગફળીનું જંગી ઉત્પાદન થયુંછે. જો કે, કયાંક ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકશાન પણ થયું છે. મગફળીની પુષ્કળ આવકો છતા મગફળીના ભાવ ો ઘટયા નથી ખેડુતોને સારી મગફળી એક મણના ભાવ ૯૦૦ થી ૧૦પ૦ રૂપિયા મળતા હોય ખેડુતો ખુશખુશાલ છે.

ગઇકાલે રાજકોટ માર્કેટયાર્ડની આંધ્રપ્રદેશના વેપારીઓએ મુલાકાત લઇ મગફળીની ખરીદી કરી હતી આંધ્ર પ્રદેશના ખેડુતો દર વર્ષે રાજકોટ માર્કેટયાર્ડમાંથી બિયારણ માટે મગફળીની ખરીદી કરતા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

(3:46 pm IST)