Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

પાયલે કહ્યું-તું લગ્ન નહિ કર તો મારે મરી જવું પડશે, આકાશે કહેલું-મરી જા તો મને કંઇ ફરક નહિ પડે!

મોચીબજારની પાયલ વાઘેલાએ પ્રેમી આકાશની દગાખોરીને લીધે આપઘાત કર્યાનું ખુલતાં રેલનગરના આકાશ પરમાર સામે મરવા માટે મજબૂર કર્યાનો ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૫: મોચીબજાર ખાડામાં ચબુતરા પાસે રહેતી પાયલ સુરેશભાઇ વાઘેલા (ઉ.૨૫)એ તા. ૨૧/૧૨ના રોજ એસિડ પી આપઘાત કરી લીધાના બનાવમાં રેલનગરમાં રહેતાં પ્રેમી આકાશ રમેશભાઇ પરમારની દગાખોરી અને ત્રાસ જવાબદાર હોવાનું સામે આવતાં પોલીસે આપઘાત કરનાર પાયલના માતા હંસાબેન સુરેશભાઇ વાઘેલા (ઉ.૫૭)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૬ મુજબ ગુનો નોંધી આકાશને સકંજામાં લઇ કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર પાયલ પાંચ બહેન અને એક ભાઇમાં ચોથા નંબરે હતી. પાયલના લગ્ન થયા નહોતાં. પાયલે ૨૧મીએ એસિડ પી લીધું ત્‍યારે હોસ્‍પિટલમાં દાખલ હતી તે વખતે પાયલને માતા હંસાબેને એસિડ પીવાનું કારણ પુછતાં તેણીએ કહેલું કે મારે બે ત્રણ વર્ષથી રેલનગરના આકાશ રમેશભાઇ પરમાર સાથે પ્રેમસંબંધ છે. અમે લગ્ન કરવાના હતાં. પરંતુ હવે આકાશે લગ્ન કરવાની ના પાડી દીધી છે અને તે બીજી કોઇ છોકરી સાથે લગ્ન કરવાનો છે એવું કહે છે. મને પણ તે બીજા કોઇ છોકરા સાથે લગ્ન કરી લેવાનું કહે છે. મેં તેને કહ્યું કે-જોત ું લગ્ન નહિ કર તો સમાજમાં હું કોઇને મોઢુ નહિ બતાવી શકું, મારે મરી જવું પડશે...તો આકાશે કહેલું કે તારે મરવું હોય તો મર, મને શું ફેર પડે છે? આથી મેં એસિડ પી લીધું છે. આ વાત જે તે વખતે પાયલે તેના માતાને કરી હતી. એ પછી પાયલનું મોત નિપજ્‍યું હતું. અંતિમવિધી બાદ હવે માતા હંસાબેને ફરિયાદ નોંધાવતાં એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. નિમાવતે ગુનો નોંધી આરોપી આકાશની ધરપકડની તજવીજ કરી હતી.

 

(1:18 pm IST)