Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અગ્નિપથ યોજના નવા વૈશ્વિક સંજોગો- સમીકરણો વચ્ચે ભારતીય સંરક્ષણ હરોળ- સશસ્ત્ર દળોની મજબૂતાઈ- સક્ષમતા વધારશે

૧૦ લાખ યુવાનોના સરકારી નોકરી અને અગ્નિપથ યોજના દ્વારા દેશસેવા સાથે રોજગારી પ્રાપ્ત કરવા માટેનો સુવર્ણ અવસરઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક તરફ આગામી દોઢ વર્ષમાં ૧૦ લાખ જેટલા યુવા લોકોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે તો બીજી તરફ સરકારે સેનાની ત્રણેય પાંખમાં ભરતી થઈને યુવા પેઢી દેશ સેવા કરી શકે તે માટે અગ્નિપથ નામની ઐતિહાસિક યોજના જાહેર કરીને રોજગારી પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર ઊભો કર્યો છે. સૌરાષ્ટ્ર- કચ્છ ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે આ જાહેરાતને આવકારીને મોટી સંખ્યામાં યુવાઓને આ તકનો લાભ ઉઠાવવા અનુરોધ કર્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્દેશો અનુસાર આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં ૧૦ લાખ પદો ઉપર ભરતી કરી નવી રોજગારીનું નિર્માણ કરવા માં આવશે. તમામ મંત્રાલયોને યુદ્ધના ધોરણે  કાર્યવાહી કરી રોજગાર ઇચ્છતા યુવાનોને કોરોના મહામારીના કારણે ઉભા થયેલા સમગ્ર વિશ્વના  વિષમ અને આર્થિક બેહાલ સંજોગો માં ભારતના યુવાનો માટે આદેશ બહાર પાડી વડાપ્રધાને પોતાનું વચન નિભાવ્યું છે.

અગ્નિપથ યોજના સશસ્ત્ર દળોની યુવા પ્રોફાઇલને સક્ષમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે એવા યુવાનોને તક પૂરી પાડશે કે જેઓ સમાજની યુવા પ્રતિભાઓને આકર્ષીને યુનિફોર્મ પહેરવા ઉત્સુક હોય, જેઓ સમકાલીન ટેકનોલોજીકલ વલણો સાથે વધુ સુસંગત હોય અને સમાજમાં કુશળ, શિસ્તબદ્ધ અને પ્રેરિત માનવશકિતને સમાજને પરત આપી શકે. આ યોજનાનાં અમલીકરણથી ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ વય પ્રોફાઇલ લગભગ  ૪-૫વર્ષ સુધી ઘટી જશે. સ્વ-શિસ્ત, ખંત અને ફોકસની ઊંડી સમજ સાથે અત્યંત પ્રેરિત યુવાનોનાં સંમિશ્રણથી રાષ્ટ્રને ઘણો ફાયદો થશે જેઓ પર્યાપ્ત રીતે કુશળ હશે અને અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપી શકશે.

આ યોજના અંગે વિસ્તૃત વિગત આપતા રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, અગ્નિપથ યોજનામાં   ૧૭-વર્ષ ૬ મહિનાથી લઈને ૨૧ વર્ષની ઉંમરવાળા ઉમેદવારો અપ્લાય કરી શકશે.ભરતી થનારાઓને છ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. બાકીના સાડા ત્રણ વર્ષ સર્વિસ કરવાની રહેશે. હાલ એક સૈનિક  ૧૭-૨૦વર્ષ સર્વિસ કરે છે. ચાર વર્ષનો પિરીયડ પૂરો થયા બાદ એમાંથી ૨૫ ટકા લોકોને સેનામાં એક મહિના બાદ ફરીથી સામેલ કરવામાં આવશે.નવી સ્કીમ હેઠળ શરૂઆતની સેલરી મહિને રૂપિયા ૩૦૦૦૦ હશે. જે ચાર વર્ષ પૂરાં થતા જ રુપિયા ૪૦૦૦૦સુધી પહોંચી જશે.સરકાર સેલેરીના ૩૦ ટકા ભાગ બચત તરીકે રાખશે અને એટલો જ ભાગ સેવા ફંડમાં જમા કરશે.બાકીની ૭૦ ટકા સેલરી ખાતામાં જમા કરવામાં આવશે.એક સૈનિકને ચાર વર્ષની સર્વિસ બાદ ૧૦થી ૧૨  લાખ રૂપિયા મળશે, જે ટેકસ ફ્રી હશે.આ રકમનો કોઈ  પણ યુવા વ્યકિત ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કરી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(12:55 pm IST)