મહાનગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલ્બ્ધિઓ અંતર્ગત સેવા 'સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન' કાર્યક્રમ સવારે ૧૧ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે યોજાયો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અવસરે સાંસદ મોહનભઇ કુંડારીયા રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ડુપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટે. કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે કમિશ્નર આશિષકુમાર, સી.કે. નંદાણી, એ.આર.સિંહ, તેમજ વિવિધ ચેરમેન તથા કોર્પોરેટરે ભાજપ સંગઠનના હોદેદારો અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેર સંગઠન ટીમ, સાંસદ સભ્યો ધારાસભ્યો, પ્રદેશ ભાજપ અગ્રણીઓ, મ્યુનિ.કમિશ્નર તથા કલેકટર દ્વારા મંત્રી જીતુભાઇ વાઘાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું તે વખતની તસ્વીર (તસ્વીર-અશોક બગથરીયા)(૬.૨૭)
રાજકોટ તા.૧પ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, લોકકલ્યાણના કાર્યક્રમોનું સાતત્યપુર્ણ અમલીકરણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશને એક તાંતણે બાંધ્યો છે.
રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી વાઘાણીએ વિવિધ ક્ષેત્રે સરકારે કરેલી ઉજજવળ કામગીરીનો ઉલ્લેખ કરતા ઉમેર્યુ હતું કે વડાપ્રધાન 'આઝાદીએ અંત્યોદય તક' કાર્યક્રમ અમલી બનાવીને છેવાડાના માણસોને મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા છે. અને જનસામાન્યના જીવનમાં બદલાવ લાવવાના પ્રયત્નો કર્યા છે. મંત્રીશ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે સમાજનો સક્ષમ વર્ગ જરૂરિયાતમંદ નાગરીકો માટે ભારતીય પ્રધાનમંત્રી સબસીડી જતી કરે તે ભાવના મોદીજીની સરકારે દેશભરના નાગરીકોમાં ઉજાગર કરી છે છેલ્લા આઠ વર્ષમાં મોદીજીની સરકાર થકી જન-જન સુધી વિકાસના ફળો પહોંચ્યા છે. અને તમામ ક્ષેત્રોમાં દેશને અગ્રેસર બનાવ્યો છે. એમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજકોટ જિલ્લાને ડીસ્ટ્રીકટ સ્કીલ ડેવલપમેન્ટ પ્લાનિંગ માટે મળેલા 'એવોર્ડ એકસીલન્સ' બદલ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા અને રાજય સરકારના યોજનાકીય લાભો નાગરીકો સુધી પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી મંત્રીશ્રી વાઘાણીએ આ પ્રસંગે કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓનો ટુંકો ચિતાર આપ્યો હતો મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી તથા ઉપસ્થિત મહાનુભાવોએ રાજય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સેવા સુશાસન તેમજ ગરીબ કલ્યાણ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.એમ.સ્વનિધી યોજના હેઠળ શેરીના ફેરીયાઓને લોન સહાય પ્રધાનમંત્રી જન-ધન યોજના માતૃવંદના, જનની સુરક્ષા યોજના, જીવન જયોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, માનધન યોજના સહિતની વિવિધ યોજનાઓ હેઠળ ૧૦ હજારથી વધુ લાભાર્થીઓ પૈકી રપ લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે મંજુરી પત્રો, ટોકન તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનના ઉદઘાટનની રાજયવ્યાપી શૃંખલા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરનો કાર્યક્રમ પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. જેને આમંત્રીતોએ દીપ પ્રાગટય વડે ખુલ્લો મુકયો હતો. મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીનું પુષ્પગુચ્છથી મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
મેયર શ્રી પ્રદીપ ડવએ પ્રાસંગીક પ્રવચનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયેલી વિવિધ યોજનાકીય કામગીરીની વિગતો આપી હતી. કલેકટરશ્રી મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરાએ આજના કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભો મેળવનાર લાભાર્થીઓની આંકડાકીય માહિતી રજુ કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા, ગોવિંદભાઇ પટેલ, ડે.મેયર શ્રી દર્શિતાબેન શાહ, ડે.મ્યુ. કમિશનરશ્રી એ.કે. સિંઘ અને શ્રી ચેતન નંદાણી, પુરવઠા અધિકારીશ્રી અવનીબેન હરણ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલ સહિતના વિભાગીય અધિકારીઓ તેમજ અગ્રણીઓ કમલશ મીરાણી, ઉદય કાનગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.