Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમદાવાદ જવા નીકળેલા દાહોદના મુકેશની લાશ લીંબડી નજીક મળીઃ હત્‍યા થયાની શંકા

ચાર દિવસ પહેલા ઘરેથી નીકળ્‍યો હતોઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૫: દાહોદ રહેતો મુકેશભાઇ સુમાભાઇ ભુરીયા (ઉ.વ.૪૦) નામનો આદિવાસી યુવાન ચાર દિવસ પહેલા ઘરેથી અમદાવાદ કામ માટે જઇ રહ્યાનું કહીને નીકળ્‍યા બાદ ગઇકાલે તેની લાશ લીંબડી નજીક રોડ સાઇડમાંથી ઇજાગ્રસ્‍ત હાલતમાં મળતાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. પરિવારજનોએ બનાવ હત્‍યાનો હોવાની શંકા દર્શાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃત્‍યુ પામનાર મુકેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારજનોએ કહ્યું હતું કે મુકેશભાઇ ચાર દિવસ પહેલા અમદાવાદ જવાનું કહીને નીકળ્‍યો હતો. ગઇકાલે તેની લીંબડીના સેમડા નજીક લાશ મળી હોવાની લીંબડી પોલીસને જાણ કરી હતી. શરીર પર ઇજાના નિશાનો હોઇ હત્‍યાની શંકા પરિવારજનોએ જણાવતાં પોલીસે મૃતદેહને રાજકોટ પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડી તપાસ યથાવત રાખી છે.

 

(4:40 pm IST)