Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જૈનોના ચાતુર્માસની ગુરૂવારે પૂર્ણાહૂતિ

ચાતુર્માસ પૂર્ણ થતા જૈનોના પૂ. સાધુ-સાધ્વીજીઓ ''ઠાણા ઓઠાણં'' એક સ્થાનકેથી અન્ય સ્થાને વિહાર કરશે

તીર્થકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ - સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક જ સ્થાનકે સ્થિરતા કરી સ્વયંની સાધના કરતાં હોય છે અને હળુ કર્મી આત્માઓને પણ આત્મ સાધનામાં જોડતાં હોય છે.

પ્રભુ મહાવીર પોતાની પ્રથમ ધમૅ દેશના શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન ત્રણમાં ફરમાવે છે કે કારતક વદ એકમ આવે એટલે  જીવોની ઉત્પતિ ઓછી થઈ ગઇ હોય છે.ચાતુર્માસ પૂણૅ થતાં પ્રભુ આજ્ઞાનું પાલન કરી સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરે.

પ્રભુ મહાવીર પોતાની અંતિમ ધર્મ દેશના શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના બીજા અધ્યયનમાં કહે છે કે વિહાર એ પરિસહ છે.

સાધુની બાળપોથી સમાન દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ વિહાર યાત્રાને કલ્યાણકારક બતાવેલ છે..

ભિક્ષા અને પાદ વિહાર એ બે એવા જ્ઞાનના સાધનો છે કે જે જ્ઞાન ભૂગોળ કે માનસ શાસ્ત્ર પણ ન આપી શકે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે તા.૧૮ ના સ્થા.જૈનોની ચૌમાસી પાખી છે.

રાજકોટ જૈન તપ ગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈએ જણાવ્યું કે મૂર્તિપૂજક સમુદાયનાં પૂ.સાધુ - સાધ્વીજીઓ શુક્રવારથી એક સ્થાનેથી અન્ય સ્થાનકે વિહાર કરશે.

જૈન શાસ્ત્રોમાં સાધુ માટે નવ કલ્પી તથા સાધ્વીજીઓ માટે પાંચ કલ્પનો ઉલ્લેખ આવે છે. વષૉકાળ સિવાય સાધુ - મુનિરાજો એક જ સ્થાનકે ૨૯ દિવસ અને સાધ્વીજીઓ ૫૯ દિવસ શેષ કાળ રહી શકે છે.

જેવી રીતે સરકારી ખાતાઓમાં ઉચ્ચ અધિકારીઓની અન્ય સ્થાને બદલી થતી રહેતી હોય છે ,તેવી જ રીતે અનંતજ્ઞાની ભગવંતોએ પણ અપાર કરૂણા કરી કલ્પ અનુસાર જીવન જીવવાની આજ્ઞા ફરમાવેલ છે કે સાધુ - સંતો પણ રાગભાવ કે મોહપાશમાં ફસાઈ નહીં.એક જ સ્થાનકે ચાર માસથી વધારે ગાઢાગાઢ કારણ સિવાય સ્થિરતા કરવાથી ભાવિકોના ભકિત ભાવમાં પણ કયારેક ઓટ આવી જાય છે. સાધુ - સંતો પણ પ્રભુની આજ્ઞાનું ઊલ્લંઘન કરી ખાન - પાનમાં આસકત બની જાય તો તેઓના આત્મા માટે પણ નુકસાનકારક છે.આ માટે કંડરીકમુનિ અને શૈલેક રાજેર્ષી મુનિનાં દ્રષ્ટાંતો ગ્રંથોમાં સુપ્રચલિત છે.

જૈન આગમોમાં સાધકો માટે ઠેર - ઠેર વાંચવા મળે કે સંસારનો ત્યાગ કરી પ્રવજ્યા અંગીકાર કરી સાધક સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરી વિચરતો હોય.ઉ.સૂત્ર ના અધ્યયન ૧૪ માં આગમકાર ભગવંતો ફરમાવે છે કે પક્ષી અને વાયુની જેમ અપ્રતિબદ્વ પણે વિહાર કરે.

પરમાત્મા શ્રી ઉ.સૂત્ર અ.૨૦,ગાથા ૬૦ માં કહે છે કે મુનિ સત્તાવીશ ગુણોથી સમૃદ્ધ, ત્રિગુપ્તિ ગુપ્ત,ત્રિદંડ નિવૃત, પ્રતિબંધ મુકત તથા પક્ષીની જેમ મોહ રહિત થઈ ને પૃથ્વી પર વિચરણ કરે.

પરમાત્મા શ્રી ઉ.સૂ.અ.૬,ગાથા ૧૬માં ફરમાવે છે કે જેમ પંખી ચારો ચણવાનું કામ પુરુ થઈ જાય એટલે બીજું કશું જ સાથે લીધા વિના માત્ર પોતાની પાંખો સાથે લઈને ઊડી જાય છે તેમ નિગ્રંથ સંતો પણ માત્ર પોતાના ઉપકરણો મુહપતિ,રજોહરણ,પાત્રા વગેરે સાથે લઈને ભારંડ પક્ષીની માફક અપ્રમત્તપણે વિચરણ કરે છે.

કહેવાય છે કે વ્હેતાં પાણી નિર્મળા...તેમ પૂ.સંતો પણ પોતાના આત્માને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે પરમાત્માની આજ્ઞા અનુસાર સાધુ તો વિચરતા ભલા એ ઉકિત અનુસાર કારતક વદ એકમ આવે એટલે  એક સ્થાનેથી અન્ય સ્થાને પગપાળા વિહાર કરે છે.(૯.૧ર)

સંકલન :

મનોજ ડેલીવાળા,રાજકોટ

મો.૯૮૨૪૧ ૧૪૪૩૯.

(2:59 pm IST)