Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પતિએ માવતરે પછી જવાનું કહેતાં સોખડામાં સેજલ ગોરીયાએ તળાવમાં કૂદી જીવ દીધો

હાજતે જવાનું કહીને ગયા બાદ પાછી ન આવતાં પરિવારજનો શોધવા ગયા ને લાશ મળી : લોધીડા માવતર ધરાવતાં સેજલના ત્રણ મહિના પહેલા જ બીજા લગ્ન થયા'તાઃ વિશાલના પણ આ બીજા લગ્ન હતાં: પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૬: કુવાડવાના સોખડા ગામે સેજલ વિશાલભાઇ ગોરીયા (કોળી) (ઉ.વ.૨૨) નામની પરિણિતાએ ગામના તળાવામાં પડતું મુકી મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણીને માવતરે આટો મારવા જવું હોઇ પતિએ પછી જવાનું કહેતાં માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ સેજલ સાંજે કુદરતી હાજતે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પણ એકાદ કલાક સુધી તે પાછી ન આવતાં પરિવારજનો તળાવ પાસે શોધખોળ કરવા જતાં તેણીના ચપ્પલ તરતાં હોઇ તપાસ કરતાં તેણી તળાવમાંથી મળી આવતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ અહિ તેને મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ આર. બી. ગીડાએ જાણ કરતાં કુવાડવાના પીએસઆઇ જે. કે. પાંડાવદરા તથા રાઇટર સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સેજલના માવતર સરધારના લોધીડા ગામે રહે છે. તેણીના ત્રણ મહિના પહેલા જ વિશાલ સાથે બીજા લગ્ન થયા હતાં. વિશાલના પણ આ બીજા લગ્ન છે. તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. સેજલને માવતરે જવું હોઇ પતિએ થોડા દિવસ પછી જવાનું કહેતાં માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે.

(11:45 am IST)