Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બે લાખ ૯૦ હજારનું વળતર ચુકવવા કોર્ટનો આદેશ

આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ

રાજકોટ તા. ૧૬: રાજકોટની કોર્ટ દ્વારા નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ આરોપી નયનભાઇ અમીતભાઇ સોલંકીને ૧ વર્ષની સજા તથા તથા ફરીયાદીને વળતર પેટે રૂ. ર,૯૦,૦૦૦/- ચુકવવાનો હુકમ ફરમાવેલ અને વળતર ન ચુકવે તો વધારાની છ માસની સજા કોર્ટ ફરમાવી હતી.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, ફરીયાદી કિશોરભાઇ કાનજીભાઇ જરીયા પાસેથી આરોપી નયનભાઇ અમીતભાઇ સોલંકીએ મિત્રતાનો સબંધ હોય હાથ ઉછીના રૂ. ર,૯૦,૦૦૦/- લીધેલ બાદ સદરહું રકમની માંગણી કરતા આરોપીએ તા. ૦પ/૧૦/ર૦૧૮ના રોજનો રૂ. ર,૯૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ નેવું હજાર પુરાનો ચેક આપેલ. જે ચેક ''ફંડ ઇનસફીસીયન્ટ''ના શેરા સાથે પરત ફરતા, ફરીયાદીએ આરોપીને તેમના એડવોકેટ મારફત ડીમાન્ડ નોટીસ પાઠવેલ છતાં નોટીસમાં જણાવેલ દિવસ-૧પ ની અંદર ચેક મુજબની રકમની ચુકવણી ન કરતા ફરીયાદી કિશોરભાઇ કાનજીભાઇ જરીયાએ નયનભાઇ અમીતભાઇ સોલંકી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી.

સદરહું કેસમાં ફરીયાદ પક્ષે પુરાવો પુરો થયા બાદ કેસ દલીલ ઉપર આવતાં ફરીયાદીના એડવોકેટ હિતેષ આર. ભાયાણીએ સુપ્રિમ કોર્ટ તથા અલગ અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરી ફરીયાદીએ પોતાનું કાયદેસરનું લેણું સાબીત કરેલ હોય તેમજ બચાવ પક્ષે ફરીયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજુ રાખી શકેલ ન હોય તે ધ્યાને લઇ આરોપીને સજા કરવા રજુઆત કરેલ હતી.

ત્યારબાદ ફરીયાદ પક્ષે થયેલ રજુઆત ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ, જયુ. મેજી.શ્રીએ આરોપી નયનભાઇ અમીતભાઇ સોલંકીને દોષીત ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ફરીયાદીને દિવસ-૬૦ ની અંદર ચુકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ફરીયાદીને દિવસ-૬૦ ની અંદર રકમ ન ચુકવે તો વધુ છ(૬) માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રીઓ હિતેષ આર. ભાયાણી તથા કોમલ કોટક રોકાયેલા. 

(4:09 pm IST)