Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

શાપર પાસેથી ૧૩મીએ અર્ધબેભાન મળેલી રાજકોટની યુવતિનું મોત એસિડથી થયું'તું: લૂંટના ઇરાદે પીવડાવી દીધાનો આક્ષેપ

બાબરા માવતર ધરાવતી શિતલના રાજકોટ દૂધની ડેરી પાસે રહેતાં મહેશ ચનીયારા સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા'તા : પતિ-પત્નિ બને જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતા'તો : શિતલ દરરોજ માલવીયા ચોકની લાયબ્રેરીમાં વાંચન માટે આવતી હતીઃ ૧૩મીએ પરત ઘરે ન આવતાં ગૂમની જાણ પોલીસને કરાઇ હતીઃ કોઇએ લૂંટના એસિડ પાઇ ઇરાદે પર્સ-મોબાઇલ પડાવી લીધાનો આક્ષેપઃ કોળી આગેવાનોની ઉંડી તપાસની માંગણી

શિતલનું મોત એસિડથી થયાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતાં તેણી એસિડ જાતે પીવે નહિ, તેને કોઇએ લૂંટના ઇરાદે પીવડાવી દીધાનો આક્ષેપ મૃતકના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનોએ કરી પી.એમ. રૂમ પર બધા એકઠા થતાં શાપર પોલીસે પહોંચી ઉંડી તપાસની ખાત્રી આપી હતી.

રાજકોટ તા. ૧૭: શાપર વેરાવળના કિસાન ગેઇટ પાસે સંક્રાંતની આગલી રાતે ૧૩મીએ એક અજાણી યુવતિ અર્ધબેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતિની બાદમાં ઓળખ થઇ હતી. જે રાજકોટ દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટર પાસે અમરનગર-૧માં રહેતી શિતલબેન મહેશ ચનીયારા (ઉ.૨૪) નામની કોળી પરિણીતા હોવાનું ખુલ્યું હતું. આ પરિણીતા અને તેનો પતિ મહેશ એમ બંને જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતાં હતાં. ૧૩મીએ લાયબ્રેરીમાં વાંચન માટે નીકળ્યા બાદ ઘરે ન આવતાં શોધખોળ બાદ ગૂમ થયાની જાણ પોલીસને કરાઇ હતી. તેણી બેભાન હાલતમાં મળી હોઇ શાપર પાસે જઇ ઝેરી પ્રવાહી પી લીધું કે પછી બીજુ કઇ બન્યું? તેનું મોત કયા કારણોસર થયું? તે જાણવા શાપર પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જેનો પ્રાથમિક રિપોર્ટ આવતાં એસિડની અસરથી મોત થયાનું ખુલ્યું છે. જો કે પરિવારજનોએ દિકરી એસિડ પીવે નહિ, લૂંટના ઇરાદે કોઇએ તેને પાઇ દીધાની શંકા દર્શાવી ઉંડી તપાસની માંગણી કરી છે.

જાણવા મળ્યા મુજબ ગયા ગુરૂવારે રાતે શાપરના કિસાન ગેઇટ નજીક એક યુવતિ અર્ધબેભાન હાલતમાં પડી હોવાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી સંજયભાઇ રાઠોડ અને પાયલોટે તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તબિબે તેનું નામ સરનામુ પુછવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કંઇ બોલી શકી નહોતી. યુવતિ કોણ છે? કિસાન ગેઇટ પાસે અર્ધબેભાન કઇ રીતે થઇ ગઇ? એ સહિતના મુદ્દે શાપર પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન થોરાળા પોલીસમાં દૂધ સાગર રોડ ગુ.હા. બોર્ડ પાસે રહેતી શિતલ ચનીયારા ગૂમ થયાની જાણ થઇ હોઇ તેના આધારે તપાસ કરતાં અર્ધબેભાન મળેલી યુવતિ શિતલ જ હોવાનું સ્પષ્ટ થયું હતું. તેણીને સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ગત રાતે તેણીએ દમ તોડી દીધો હતો.

મૃત્યુ પામનાર શિતલના માવતર બાબરા રહે છે. તેણીના ત્રણ વર્ષ પહેલા રાજકોટના મહેશ ચનીયારા સાથે લગ્ ન થયા હતાં. શિતલ અને પતિ મહેશ બંને જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતાં હતાં. શિતલ દરરોજ બપોર બાદ ઘરેથી માલવીયા ચોક પાસેની લાયબ્રેરીમાં વાંચન માટે જતી હતી અને સાંજે છએક વાગ્યે પરત આવી જતી હતી. ૧૩મીએ લાયબ્રેરીએ ગયા બાદ પાછી ન આવતાં શોધખોળ શરૂ કરાઇ હતી અને બાદમાં ગૂમ થયાની પોલીસને જાણ કરાઇ હતી.

શિતલ છેલ્લે ભુતખાના ચોકમાંથી કોઇ રિક્ષામાં બેઠી હતી. તેમાં બીજી બે મહિલા પણ હતી. આટલી અધકચરી વાત તે થોડી ભાનમાં આવી ત્યારે કરી હતી. જો કે શાપરના કિસાન ગેઇટ સુધી કઇ રીતે પહોંચી? બેભાન શા માટે થઇ ગઇ? આ બધા મુદ્દે પોલીસે તપાસ આદરી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થતાં શિતલનું મોત એસિડથી થયાનું ખુલતાં તેણીએ એસિડ જાતે પીધુ તો શા માટે? અને કોઇ પીવડાવ્યું તો શા કારણે? તેની તપાસ શાપર પોલીસે શરૂ કરી છે.

મૃત્યુ પામનાર શિતલ બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી. તેના પિતા સવજીભાઇ સુખાભાઇ ભારખાણી બાબરા રહે છે. બનાવને પગલે કોળી સમાજના લોકો પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે એકઠા થયા હતાં અને દિકરી શિતલ જાતે એસિડ પીવે તેવુ કોઇ કારણ નહિ હોવાનું જણાવી તેનો મોબાઇલ ફોન અને પર્સ ગાયબ હોઇ લૂંટના ઇરાદે કોઇએ તેને પરાણે એસિડ પાઇ દીધાનો આક્ષેપ કરી એક તબક્કે લાશ નહિ સંભાળવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ શાપર પોલીસે ઉંડી તપાસની ખાત્રી આપી હતી. એ પછી મૃતદેહ સંભાળાયો હતો.

(3:23 pm IST)