Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જશાપરમાં ધીરગુરુદેવના સાંનિધ્‍યે જન્‍માષ્‍ટમી મહોત્‍સવઃ ધુમાડાબંધ ગામ જમણ

૩૦ ઉપવાસના તપસ્‍વી રેખાબેનનું સન્‍માનઃ શોભાયાત્રાઃ વિમોચનઃ જય દ્વારકાધીશ દ્વાર-ઉદ્દઘાટન

રાજકોટ તા. ૧૭: શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરુદેવના સાંનિધ્‍યે રંગેચંગે ચાતુર્માસની ઉજવણીથી અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. પ્રથમ જ વાર રેખાબેન બી. જોટંગીયા (નાઇ પરિવાર) ૩૦ ઉપવાસ-મૃત્‍યુંજય તપની ઉગ્ર આરાધના કરી રહેલ છે. જેનાં પારણા તા. ર૦ના થશે. શ્રીમતી મોતીબેન કરમુર તપસ્‍યામાં આગળ વધી રહ્યા છે.

ચાતુર્માસ કમિટિના કન્‍વીનર કે. ડી. કરમુરના જણાવ્‍યાનુસાર તા. ૧૮ ને ગુરૂવારે રાત્રે શ્રીમતી માલિની કિશોર સંઘવી-સેવા સંકુલ ખાતે લોકડાયરો-અમારૂં ગામડું જેમાં લોકસાહિત્‍યકાર દેવરાજભાઇ ગઢવી અને ભજનીક પરેશદાન ગઢવી, જગદીશ મહેશ પ્રસ્‍તુતિ કરશે. પ્રમુખપદે પ્રફુલભાઇ અને હરેશભાઇ મોદી (કલકત્તા) રહેશે.

જયારે તા. ૧૯ ને શુક્રવારે સવારે ૭-૩૦ કલાકે જન્‍માષ્‍ટમી શોભાયાત્રા મહાવીર માર્ગ થઇ ભારતીબેન સુમિતભાઇ અજમેરા હ. શૈલેશ-દિપ્‍તિ શાહ પ્રેરિત જય દ્વારકાધીશ પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન ત્‍યારબાદ ડુંગર દરબારમાં ૯-૩૦ કલાકે ચંદ્રવદનભાઇ દેસાઇના પ્રમુખપદે ‘‘કનૈયા સભી કા હૈ'' પ્રવચન અને માતુશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવાર પ્રેરિત અવનીનું અમૃતઃ મા-બાપ અને આગમ ઉપવનના સુમન પુસ્‍તકનું વિમોચન કરવામાં આવશે.

ઉપરાંત અમીશા નીરજ વોરા તરફથી ધુંવાડાબંધ ગામ જમણનું આયોજન કરાયું છે. શ્રી નંદકિશોર ગૌશાળાના નૂતનીકરણમાં ગૌમાતા વિશ્રાંતિ ગૃહમાં પ્રમોદાબેન કોટીચા, મનહરલાલ વનેચંદ સંઘવી, અનિલભાઇ મણિલાલ વિરાણી, અલ્‍પના પિયૂષભાઇ ઉદાણી, રમાબેન છોટાલાલ દફતરી, કસુંબાબેન ઝીણાભાઇ મણિયારએ લાભો લીધેલ છે. ઘાસચારા ઘરનો બીનાબેન અજયભાઇ શેઠ જશવંતીબેન જયંતિલાલ વારીયાની સ્‍મૃતિમાં લાભ લીધેલ છે. સમસ્‍ત ગ્રામજનો મહોત્‍સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.

(3:36 pm IST)