Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

યુપીના યુવાનની ગળા પર ઘા ઝીંકી કરાયેલી હત્યામાં આડાસંબંધ કારણભુત

માસી પર 'મોહી' ગયેલા 'નિર્મોહી'ની માસા કુંદનના હાથે હત્યા થઇ'તીઃ તાલુકા પોલીસે ભેદ ઉકેલાયો

અગાઉ નિર્મોહીને માસા કુંદન ઉર્ફ કમલેશ સાથે માથાકુટ થયાની માહિતી મળતાં તેને ઉઠાવી લેવાયો અને ભેદ ખુલી ગયો

રાજકોટ તા. ૧૭: મવડી ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ બુધવારે રાતે થયેલી મુળ યુપીના બલરામપુરના નિર્મોહી ઉર્ફ ભભૂતિ રામતિરથ ચોૈહાણ (ઉ.વ.૨૪)ની હત્યાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાંખ્યો છે. નિર્મોહીને તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે છરાનો ઘા ઝીંકી પતાવી દીધાનું ખુલતાં તેને ઉઠાવી લેવાયો છે. તેની સાથેના બે શખ્સને પણ સકંજામાં લીધા છે. નિર્મોહી પોતાની માસી પર મોહી ગયો હોઇ અને બંને વચ્ચે આડાસંબંધ બંધાયા હોઇ તે કારણે માસા કુંદન સાથે થયેલી માથાકુટ હત્યા પાછળ કારણભુત હોવાનું ખુલ્યું છે.

પરમ દિવસે રાતે ફોર્ચ્યુન હોટેલ પાછળ ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ એરિયા ગેલઆઇ સોસાયટીના ખુણા પાસે એક યુવાન દોટ મુકીને ભાગતી વેળાએ ઉભેલી કાર સાથે અથડાઇને પડી ગયા બાદ ભેગા થયેલા લોકોએ જોતાં તેના ગળા પર ઘા દેખાયો હતો. હોસ્પિટલમાં ખસેડાતાં તેને મૃત જાહેર કરાયો હતો. ગઇકાલે સવારે આ યુવાનની ઓળખ થઇ હતી. તે યુપીના બલરામપુરના મહાદેવ અત્તરપરીનો વતની નિર્મોહી ચોૈહાણ હોવાનું અને હાલ મવડી અજંતા ઇન્ડસ્ટ્રીઝ સોરઠીયા સમાજની વાડી સામેના કારખાનામાં કામ કરી ત્યાં જ ઓરડીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું.

એ પછી તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો હતો. તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખી આરોપીઓને દબોચી લીધા છે. નિર્મોહીની હત્યા તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે કરી હોવાનું અને કુંદન સાથે તેનો સાળો સહિતના બે શખ્સો પણ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે હત્યાનો ભોગ બનેલા નિર્મોહીની સાથે રૂમમાં રહેતાં શખ્સોની પુછતાછ કરતાં એવી માહિતી મળી હતી કે અગાઉ નિર્મોહીને તેના જ માસા કુંદન સાથે માથાકુટ થઇ હતી. આને આધારે પોલીસે કુંદનને ઉઠાવી લઇ આકરી પુછતાછ આદરતાં જ તેણે હત્યાની કબુલાત આપી હતી.

નિર્મોહી બુધવારે સાંજે ઘરેથી નીકળ્યો એ પછી તેને કુંદન અને તેનો સાળો સહિતના પોતાની સાથે લઇ ગયા હતાં. નિર્મોહીને પોતાની માસી એટલે કે કુંદનની ઘરવાળી સાથે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. માસા કુંદને તેને આ સંબંધો તોડી નાંખવા કહ્યું હતું પરંતુ તેણે હું તો જીવીશ પણ તેની સાથે અને મરીશ પણ તેની સાથે એમ કહેતાં ઝઘડો થયો હતો અને બુધવારે સાંજે કુંદન સહિતે તેને પતાવી દીધો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ ભરતભાઇ વનાણી, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. મોહસીનખાન,  અમીનભાઇ, હરસુખભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ, સહિતની ટીમે ડિટેકશન કર્યુ હતું. 

(11:50 am IST)