Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સનત ઠાકરની ઉત્‍કૃષ્‍ટ કૃતિઓનું પ્રદર્શન આજથી ખુલ્લુઃ રવિવાર સુધી માણી શકાશે

રાજકોટ તા.૧૮: ચિત્રકાર સ્‍વ.સનત ઠાકરની ચુનીંદી ઉત્‍કૃષ્‍ઠ કૃતિઓના પ્રદર્શન ઇમ્‍પ્રેશનનું આયોજન વી.વી.પી સંચાલિત ઇન્‍દુભાઇ પારેખ સ્‍કુલ ઓફ આર્કીટેકચર દ્વારા કાર્યશાળાના સહયોગ થકી કરવામાં આવેલ છે. જેનું ઉદઘાટન આજે તા.૧૮ બુધવારે સાંજે ૬ કલાકે શ્રીમતી રમાદેવી સનતભાઇ ઠાકરના કરકમલો હસ્‍તે કરવામાં આવનાર છે.

તા.૧૯/૧/૨૦૨૩ને ગુરૂવારથી ૨૨/૧/૨૦૨૩ને રવિવાર(સાંજે ૩થી ૭) દરમ્‍યાન યોજાનાર પ્રસ્‍તુત પ્રદર્શનએ કલાક્ષેત્રના જનસામાન્‍યમાં ભારે ઉત્‍કંઠા જગાવેલ છે.

વર્ષ ૧૯૧૭માં જોડીયા ખાતે જન્‍મેલા શ્રી સનત ઠાકરએ પિતાજી, બહેન તથા કાકા પાસેથી કલાવિશ્વની પ્રેરણા પ્રાપ્ત કરી લેમ્‍બ્રેન્‍ટ, ટર્નર તથા મઝુમદાર જેવા મહાન કલાકરોના પ્રભાવ હેઠળ સને ૧૯૩૬થી ૧૯૩૮ દરમ્‍યાન કરાચી ખાતે પ્રબુધ્‍ધ કલાકાર સ્‍વ.એમ.ડી.ત્રિવેદી પાસેથી પોટ્રેઇટ તથા લેન્‍ડસ્‍કેપનું પ્રશિક્ષણ મેળવેલ હતું. સ્‍વ.શ્રી સનત ઠાકરને બોમ્‍બે આર્ટ સોસાયટી, ઓલ ઇન્‍ડિયા મૈસોર દસેરા આર્ટ એકિઝબિશન, ઇન્‍ડિયન રેલ્‍વે આર્ટ એકિઝબિશન, લલિતકલા એકેડેમી-ગુજરાત, મહાકૌશલ કલા પરીષદ-રાઇપુર, તથા ઓલ ઇન્‍ડિયા ફાઇન આર્ટસ એન્‍ડ ક્રાફટસ સોસાયટી ન્‍યુ દિલ્‍હી દ્વારા વિવિધ એવોર્ડઝથી સન્‍માનિત કરવામાં આવેલ હતા. પચાસ કરતા વધુ વર્ષની સુદિર્ઘ કલાયાત્રા દરમ્‍યાન રાષ્‍ટ્રભરમાં અનેક વન મેન શો તથા સમુહ પ્રદર્શનમાં ભાગ લેનાર તથા કલાકારોની એક આખી પેઢીને પ્રશિક્ષિત કરનાર અતુલ્‍ય કલાકાર સ્‍વ. શ્રી ઠાકરની કલાકૃતિઓ એર ઇન્‍ડિયા, તાજ મહાલ હોટેલ, ટાટા ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ ફન્‍ડામેન્‍ટલ રીસર્ચ, નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ, ઇન્‍ડિયન રેલ્‍વે, વિગેરે નામાંકિત સંસ્‍થાઓ તથા પ્રાઇવેટ કલેકસના સંગ્રહિત છે.

સ્‍વ.સનત ઠાકરની કૃતિઓના પ્રદર્શનને માણવા સંસ્‍થાના આચાર્યશ્રી આર્કી.દેવાંગ પારેખ તથા કાર્યશાળાનાં સંચાલક જયેશ શુકલ અને આર્કી. ગૌરવ વાઢેરએ જાહેરજનતાને ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી લલીતભાઇ મહેતા તથા ટ્રસ્‍ટીગણ કૌશિકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, ડો.નરેન્‍દ્રભાઇ દવેના વડપણ તથા ઇપ્‍સાના નિયામક આર્કી. કિશોરભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંસ્‍થાના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ જહેમત ઉઠાવી રહેલ છે

(4:40 pm IST)