Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કોરોના પોઝીટીવ દર્દીએ મતદાનના આગલા દિવસે રજીસ્ટર્ડ કરાવવું ફરજીયાત

ચૂંટણી પંચની મહત્વની ગાઈડલાઈન જાહેરઃ આવા મતદારને મતદાનના દિવસે સાંજે ૫ થી ૬માં મતદાન કરવા મળશેઃ અલગથી લાઈન રહેશે : પીપીઈ કીટ પહેરવી પણ ફરજીયાતઃ એમબીબીએસનું સર્ટિફીકેટ પણ જોઈશેઃ બુથ ઉપરનો સ્ટાફ પણ ત્યારે પીપીઈ કીટ ખાસ પહેરશે : કોરોનામા દર્દીઓ મતદાન કરવા આવે ત્યારે જનરલ મતદાન પણ ચાલુ હશેઃ ભય ઉભો થવાનો ભયઃ રાજ્ય ચૂંટણી પંચે કોરોના દર્દી માટે સાંજે ૬ થી ૬ાા ટાઈમ રાખવો જોઈતો હતોઃ કર્મચારીઓ-અધિકારીઓની પણ લાગણી

રાજકોટ, તા. ૧૮ :. આગામી રવિવારે તા. ૨૧ના રોજ રાજકોટના ૯૯૧ બુથો ઉપર રાજકોટ મહાનગરપાલિકાની ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન થશે અને તે સંદર્ભે ઈવીએમ સહિતની તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ કે, ચૂંટણી પંચે મતદાનના દિવસે કોરોના દર્દીઓ માટે મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. તેમણે જણાવેલ કે કોરોના પોઝીટીવ જે તે મતદાર કે અન્ય કોઈ આગેવાન કાર્યકર, નેતા કે કોઈપણ કર્મચારી-અધિકારીઓ મતદાનના આગલા દિવસે એટલે કે શનિવારે તા. ૨૦ના રોજ જે તે વોર્ડના રીટર્નીંગ ઓફિસર પાસે ફરજીયાત રજીસ્ટર્ડ કરાવવાનુ રહેશે. તેમજ કોઈપણ સરકાર અન્ય એમબીબીએસ ડોકટરનું સર્ટીફીકેટ આપવાનું રહેશે કે જેમા લખેલુ હોવુ જરૂરી છે કે આ કોરોના પોઝીટીવ મતદારની શારીરીક સ્થિતિ બુથ ઉપર મતદાન કરી શકે તેવી છે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે આવા મતદારે પીપીઈ કીટ પહેરવી ફરજીયાત છે અને તે કીટ પહેરવાની તાલીમ આરોગ્ય અધિકારી પાસેથી લેવાની રહેશે અને આવા મતદાર માટે ચૂંટણી પંચે ૨૧મીએ સાંજે ૫ થી ૬ દરમિયાનનો ટાઈમ ફીકસ કર્યો છે.

શ્રી રેમ્યા મોહને ઉમેર્યુ હતુ કે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પીટલ કે હોમ આઈસોલેશન હોય તે તમામને ઉપરોકત નિયમો લાગુ પડે છે. કલેકટરે રીપીટ કર્યુ હતુ કે આવા મતદારે ૨૦મીએ જ રજીસ્ટર્ડ કરાવવાનુ રહેશે. મતદાનના દિવસે રજીસ્ટર્ડ કરાવે તે નહિ ચાલે, તેમજ જે તે દર્દીએ કોરોના ગાઈડલાઈન મુજબ સામાજીક અંતર જાળવી અલગ ઉભી કરાયેલ લાઈનમાં ઉભુ રહેવાનુ રહેશે અને સ્વખર્ચે આવવાનું રહેશે.

સાંજે ૫ થી ૬માં જનરલ લોકોનું પણ મતદાન હશે ત્યારે કોરોના દર્દી આવે તો ભયનો માહોલ ઉભો થવાનો ભય...

અત્રે એ નોંધનીય છે કે સાંજે ૫ થી ૬મા કોરોના સિવાયના અન્ય મતદારોની લાંબી લાઈનો હશે. આ દરમિયાન કોરોના પોઝીટીવ દર્દી મતદાન કરવા આવે તો અન્ય મતદારોમા બુથ ઉપરના સ્ટાફમાં ભયનો માહોલ ઉભો થવાનો ભય છે, પરિણામે હાલ કર્મચારીઓ-અધિકારીઓમાં પણ રાજ્ય ચૂંટણી પંચે આવા કોરોના દર્દીઓનું મતદાન સાંજે ૬ થી ૬ાા દરમિયાન રાખવાની જરૂરત હતી તેમ લાગણી ઉઠી છે. આવો ભયનો માહોલ સર્જાય તો અન્ય સામાન્ય મતદારો મતદાન કરવા આવ્યા હોય તેઓ મતદાન વગર પરત ફરી જાય તેવી પણ શંકા ઉદ્ભવી છે.

(3:10 pm IST)