Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પૂજાનો આપઘાતઃ આઘાતમાં સખી જીવીએ પણ જીવ દીધો

રાજકોટમાં બે મિત્રોના આપઘાતનો ભેદ હજુ ખુલ્યો નથી ત્યાં વધુ એક ચોંકાવનારી ઘટનાઃ રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના બાવાજી અને ભરવાડ પરિવારમાં શોક : રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતી ૧૭ વર્ષની પૂજાએ સાંજે સવા સાતે ફાંસો ખાઇ મોત મેળવ્યું: મોબાઇલમાં વાતો કરતી હોઇ ઠપકો મળ્યાની શકયતાઃ બનાવની જાણ થતાં બહેનપણી ગાંધીગ્રામ શાસ્ત્રીનગરની ૨૦ વર્ષની જીવી તેના ઘરે આવી હતીઃ એ પછી આઘાતમાં રાતે સાડા બારે તેણે પણ ગળાફાંસો ખાઇ મોત મેળવ્યું: બંને બહેનપણી પાંચ વર્ષથી ખજૂર પેકીંગનું કામ કરતી હોઇ પાક્કી બહેનપણી બની ગઇ હતીઃ પરિવારોમાં કલ્પાંત : પૂજાએ ઓરડીમાં અંદરથી તાળુ મારી ફાંસો ખાઇ લીધોઃ જીવીએ ઢોર બાંધવાના ઢાળીયામાં દૂપટ્ટો બાંધી મોત મેળવ્યું : પૂજા એક ભાઇથી મોટી હતીઃ જીવીના બે વર્ષ પહેલા લગ્ન થયા'તાઃ દિવાળી પછી આણુ વળાવવાનું હતું

બહેનપણાનો અંતઃ તસ્વીરમાં પૂજા જીવણભાઇ રામાવત (ઉ.વ.૧૭) અને જીવી રવિભાઇ ધ્રાંગીયા (ઉ.વ.૨૦)ના નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૮: શહેરના સંત કબીર રોડ પર ગોકુલનગરમાં રહેતાં ૨૦ વર્ષના શ્યામ મેવાડા અને તેના મિત્ર કુવાડવા રોડ પર કવાર્ટરમાં રહેતાં ૧૫ વર્ષના શ્યામ ઝાલાએ મોરબી રોડ પર સજોડે ઝેરી પ્રવાહી પી લીધા બાદ એકનું ઘટના સ્થળે અને બીજાનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બંનેએ કયા કારણે સજોડે આપઘાત કર્યો હતો તેનું રહસ્ય હજુ ઉકલાયુ નથી ત્યાં વધુ એક ચોંકાવનારી ઘટનામાં ગાંધીગ્રામ રૈયાધારની ૧૭ વર્ષની બાવાજી યુવતિએ સાંજે સવા સાતેક વાગ્યે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેણીના આઘાતમાં ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં રહેતી તેની પાક્કી બહેનપણી ૨૦ વર્ષની ભરવાડ યુવતિએ મોડી રાતે ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં બંનેના પરિવારોમાં અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બાવાજી યુવતિ મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતી હોઇ કદાચ એ બાબતે ઠપકો મળતાં પગલુ ભર્યાની શકયતા છે. તેના આઘાતમાં સખીએ પણ મોત મેળવી લીધું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળાના ગેઇટથી આગળ શિતલા માતાજીના મંદિર પાસે રહેતી પૂજા જીવણભાઇ રામાવત (ઉ.વ.૧૭) નામની બાવાજી યુવતિએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી દક્ષાબેન ચોૈહાણે કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ એચ. બી. ગઢવીએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ભગીરથસિંહ જે. ખેર તથા લક્ષમણભાઇ મહાજને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પૂજા એક ભાઇથી મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. ગઇકાલે સાંજે તે ઘરે એકલી હતી. રૂમ અંદરથી બંધ કરી તાળુ લગાવી તેણે એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના કાકા બાજુમાં રહેતાં હોઇ તેણે દરવાજો બંધ જોતાં ખખડાવતાં નહિ ખોલાતાં પાછળના ભાગેથી છાપરા ઉંચકાવી અંદર જોતાં પૂજા લટકતી જોવા મળતાં દરવાજો તોડ્યો હતો. ૧૦૮ને જાણ કરાઇ હતી. પરંતુ ત્યારે મોડુ થઇ ગયુ હતું. પૂજા મોબાઇલ ફોનમાં વધુ પડતી વ્યસ્ત રહેતી હતી. કદાચ આ બાબતે કોઇનો ઠપકો મળ્યો હોઇ શકે. પોલીસ મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવશે. પૂજાના આપઘાત પાછળ કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

આ ઘટના બાદ મોડી રાતે સાડા બારેક વાગ્યે અન્ય એક આપઘાતનો બનાવ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ બનાવમાં ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર-૬માં રહેતી જીવીબેન રવિભાઇ ધ્રાંગીયા (ભરવાડ) (ઉ.વ.૨૦) નામની યુવતિ ઘર પાસેના ઢોર બાંધવાના ઢાળીયામાં લોખંડના એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં યુનિવર્સિટીના એએસઆઇ અજયસિંહ ચુડાસમાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર જીવી સાત બહેન અને બે ભાઇમાં  છઠ્ઠા નંબરે હતી. તેના લગ્ન પડધરીના રંગપરના ગોકુલપરામાં રહેતાં યુવાન સાથે બે વર્ષ પહેલા થયા હતાં. જો કે આણુ હવે આ દિવાળી પછી વાળવાનું હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે જીવી અને રૈયાધારમાં સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરનાર પૂજા એમ બંને પાક્કી બહેનપણી હતી. આ બંને રૈયાધારમાં આવેલા ગોવિંદભાઇ ભરવાડના ખજૂર પેકીંગ કરવાના ડેલામાં પાંચેક વર્ષથી સાથે કામ કરવા જતી હોઇ બંને સખી બની ગઇ હતી.

સાંજે પૂજાએ આપઘાત કર્યાની જાણ થતાં જીવી ત્યાં ગઇ હતી અને ખુબ રડી હતી તેમજ રડતા રડતાં અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી. પરિવારજનોએ તેને દિલાસો આપ્યો હતો અને સમજાવીને ઘરે લઇ ગયા હતાં. પરંતુ બહેનપણીનો વિયોગ વસમો લાગતાં રાત્રીના સાડાબારેક વાગ્યે તેણે ઘરના ઢોર બાંધવાના ઢાળીયામાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો દિકરીને દિવાળી પછી સાસરે વળાવવાની તૈયારીમાં હતાં. તેના બદલે તેની અરથી નીકળતાં ગમગીની છવાઇ ગઇ હતી. રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં આ બનાવે ચકચાર સાથે અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(2:55 pm IST)