Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

‘આમાં કોઇનો વાંક નથી...' વ્‍હોટ્‍સએપમાં સ્‍ટેટસ મુકયા બાદ ઉર્વશી રાણીંગાએ જિંદગી ટૂંકાવી લીધી

દિવાનપરાના યશ એપાર્ટમેન્‍ટમાં બનાવ : પરિવારજનોએ રૂમનો દરવાજો ખોલતા સોની પરિણીતા લટકતી જોવા મળી : એક દિકરી મા વિહોણી : કારણ અકળ

રાજકોટ તા. ૧૭ : શહેરના કોઠારિયા નાકા પાસે દિવાનપરામાં આવેલા યશ એપાર્ટમેન્‍ટમાં રહેતી પરિણીતાએ વ્‍હોટસએપમાં આમા કોઇનો વાંક નથી સ્‍ટેટસ મુકયા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

મળતી વિગત મુજબ દિવાનપરામાં મામા સાહેબના મંદિર પાસે આવેલા યશ એપાર્ટમેન્‍ટમાં ચોથા માળે રહેતી ઉર્વશી કૃનાલભાઇ રાણીંગાએ ગઇકાલે પોતાના ઘરે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો તેને બોલાવવા માટે જતા રૂમનો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતા તેની ચાર વર્ષની પુત્રીએ દરવાજો ખોલતા ઉર્વશીને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પાડોશીઓ સહિતના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે તાકીદે સ્‍થળ પર પહોંચી ઇએમટી ઉત્તમભાઇ તથા પાઇલોટ ભગીરથભાઇએ તપાસ કરતા પરિણીતાનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ કે.કે.પરમાર સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ મૃતક ઉર્વશીના માતા-પિતા ઉપલેટા રહે છે. તેના ચાર વર્ષ પહેલા રાજકોટ દિવાનપરામાં રહેતા કૃનાલ રાણીંગા સાથે લગ્ન થયા હતા. સોફટવેર એન્‍જીનિયર છે. તેને સંતાનમાં એક પુત્રી છે. પોલીસની તપાસમાં ઉર્વશી પાસેથી મળેલો મોબાઇલ ફોન ચેક કરતા તેણે વ્‍હોટ્‍સએપના સ્‍ટેટસમાં આમા કોઇનો વાંક નથી' તેમ સ્‍ટેટસ મુકયા બાદ તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)