Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

લગ્નના બીજા જ દિવસે જીજ્ઞેશા સોનાણીને ખબર પડી કે પતિને બીજી સાથે અફેર છે!

હાલ મોરબી રોડ પર માવતરે રહેતી યુવતિની સણોસરા રહેતાં પતિ-સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ : જેઠાણીએ ગરમ કૂકરથી દઝાડીઃ સાસુએ કહ્યું-તું મરી જા તો મારા દિકરાને બીજે પરણાવી દઇશું

રાજકોટ, તા., ૧૯: મોરબી રોડ ખોડલ આશીષ શકિત પાર્કમાં માવતરના ઘરે રહેતી પરીણીતાને લગ્નના બીજા જ દિવસે પતિના અફેરની ખબર પડયા બાદ પતિ, સાસુ અને જેઠાણી 'તુ માવતરેથી કંઇ લાવી નથી, તુ મરી જા તો મારા દિકરાને બીજે પરણાવી દેશુ એટલે વધુ કરીયાવર આવે' તેમ મેણાટોણા મારી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર ખોડલ આશીષ શકિત પાર્ક શેરી નં. ૧૧માં માવતરના ઘરે રહેતા જીજ્ઞેસાબેન મનીષ સોનાણી(ઉ.વ.ર૯)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં સણોસરા ગામમાં રહેતા પતિ મનિષ વલ્લભભાઇ સોનાણી, સાસુ લક્ષ્મીબેન વલ્લભભાઇ સોનાણી અને મોરબી રોડ પર આર.કે.ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતી જેઠાણી કાજલ ચેતનભાઇ સોનાણીના નામ આપ્યા છે. જીજ્ઞેસાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના પાંચ વર્ષ પહેલા સણોસરા ગામના મનીષ વલ્લભભાઇ સોનાણી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ, સસરા અને જેઠ-જેઠાણી સંયુકત પરીવારમાં રહેતા હતા. લગ્નના બીજા જ દિવસે પતિને ઘરની બાજુમાં રહેતી યુવતી સાથે અફેર હોઇ તેની સાથે પોતે કહયા વગર જતો રહેલ. જે બાબતની પોતાને ખબર પડી હતી અને પોતે તે વાતને જતી કરી હતી. એક વખત જતુ કરી દીધેલ તો પણ પતિને અવાર નવાર છોકરી સાથે અફેર કરવાની ટેવ હોય અને પતિ અભ્યાસ માટે સરદાર પટેલ ભવન ખાતે આવ્યા ત્યાં પણ આવી જ રીતે અવાર નવાર બીજી યુવતીઓ સાથે ફરતો જેની જાણ પોતે તેના મોબાઇલમાં વાંચી લેતા ખબર પડી હતી ત્યારે પોતે તેને આ બધુ શું છે? પુછતા પતિએ કહેલ કે હવે હું આવું કંઇ નહી કરૂ અને જો આવુ કરૂ તો તું મારા પપ્પાને જાણ કરી શકે છે તેમ જણાવ્યું હતું. લગ્ન બાદ સાસુ તથા જેઠાણી પોતાને ઘરકામ બાબતે રોકટોક કરતા અને કરીયાવર બાબતે મેણા ટોણા મારતા હતા. સાસુ પોતાના મમ્મીને ફોન કરીને કહેતા કે 'તમે તમારી દીકરીને કરીયાવરમાં કંઇ આપ્યુ નથી' આ બાબતે પોતાને પણ મેણા ટોણા મારતા હતા તથા તારી પત્નીને કાઇ કામ નથી આવડતુ તેમ પતિને ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરતો હતો.

ઘર સંસાર ન બગડે તે માટે પોતે બધુ સહન કરતા હતા. એક વખત પોતે રસોડામાં કામા કરતા હતા ત્યારે જેઠાણીએ ઝઘડો કરી ગરમ કુકર મારી દેતા પોતે દાઝી ગયેલ ત્યારે સાસુએ તેનું ઉપરાણુ લઇ પોતાને 'તુ મરી જા તો મારા દિકરાને બીજે પરણાવી દેશુ એટલે વધુ કરીયાવર આવે' તેમ કહયું હતું. ત્યાર બાદ પોતે પ્રેગ્નેટ થતા પતિ કોઇ જાતનું ધ્યાન આપતા નહી બાદ પોતાની ડીલવરી બાદ પોતે છેલ્લા ત્રણ વર્ષથી માવતરના ઘરે રહે છે. દીકરીના જન્મ બાદ પણ પતિ ખબર કાઢવા આવેલ નથી. પોતાને તેડવા પણ આવેલ નથી. બાદ પિતાએ સમાધાન માટે પ્રયત્ન કરેલ ત્યારે પતિએ કહેલ કે હું રાજકોટ રહેવા નહી આવુ તમારી દીકરીને મોકલવી હોય તો સુરત મોકલો તો સમાધાન કરૂ તેમ કહયા બાદ સાસરીયાવાળા તરફથી કોઇ ફોન કે તેડવા ન આવતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. એસ.જી.ગોસાઇએ તપાસ હાથ ધરી છે.

(2:53 pm IST)