Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

ઠેબચડાના લખધીરસિંહની હત્યામાં અક્ષિત છાયાના જામીન નામંજૂર

હાઈકોર્ટના જસ્ટીસ ડો.અશોક જોષીનો મહત્વનો ચુકાદો

રાજકોટ : ઠેબચડાની ૫૮ એકર ખેતીની જમીન ગણોતધારા હેઠળ મળ ખાતેદારને સોંપવાના થયેલા હુકમ બાદ આરોપી જૂથ સુપ્રિમ કોર્ટ સુધી પરાજીત થઈ જમીનનો કબ્જો ધરાર મેળવવા દેશની વડી અદાલતના હુકમનું ઉલ્લંઘન કરી હત્યા કરવાના ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલા અક્ષિત છાયા દ્વારા હાઈકોર્ટમાં જામીન પર છૂટવા કરેલી અરજીને હાઈકોર્ટના જસ્ટીસ ડો.અશોકકુમાર જોષીએ નામંજૂર કરતો રીપોર્ટેબલ ચુકાદો આપ્યો છે. હત્યા સમયે અક્ષિત છાયાની હાજરી ન હોવા છતા તે સમગ્ર ઘટનાનો મુખ્ય કાવતરાખોર ગણવામાં આવ્યો છે અને પોતાના આર્થિક ફાયદા માટે સુપ્રિમ કોર્ટના હુકમનો વારંવાર અનાદર કરી હત્યા માટે કાવતરૂ ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવ્યાનું મહત્વના ચુકાદા દ્વારા જાહેર કરાયુ છે.

અક્ષિત છાયાની જામીન પર છૂટવાની અરજી સામે સુપ્રિમ કોર્ટના જાણીતા ધારાાસ્ત્રી ડી.એન.રે., હાઈકોર્ટના સરકારી વકીલ એચ.કે. પટેલ, હાઈકોર્ટના પ્રખર એડવોકેટ વીકીભાઈ મહેતા, રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, ભરતભાઈ સોમાણી, મનીષભાઈ પાટડીયા, અજીતભાઈ પરમાર તેમજ સ્પેશ્યલ પીપી અનિલભાઈ દેસાઇએ કાયદાકીય લડત આપી અક્ષિત છાયાની જામીન પર છૂટવાની અરજી નામંજૂર કરવા ધારદાર દલીલ કરી હતી.

સુપ્રિમ કોર્ટના ખ્યાતનામ એડવોકેટ ડી.એન.રે. દ્વારા આ કેસમાં ર્વ્ચ્યુઅલ દલીલ કરી હતી. તેઓએ આ કેસ ઘણો જૂની છે. વર્ષ ૨૦૧૫થી પોતે આ કેસ લડતા હોવાનુ કહી ફરીયાદ પક્ષ તરફથી રોકાયા હોવાનું જણાવ્યુ છે. ૨૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ લખધીરસિંહ જાડેજાનું મર્ડર થયુ છે. ત્યારે આ કેસના પોલીસ તપાસના કાગળ જોતા મુખ્ય સૂત્રધાર તરીકે અક્ષિત છાયા પડદા પાછળનો કાવતરાખોર તરીકે ઉપસી રહ્યો છે. ઠેબચડાના ગરાસીયા પરિવારને   ૫૮ એકર ખેતીની જમીન ગણોતધારા મુજબ પરત કરવાના હુકમ સામે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચેલી સિવિલ મેટરના સંદર્ભે જ લખધીરસિંહ જાડેજાની હત્યા થઈ છે.

આરોપી જૂથ દ્વારા સુપ્રિમ કોર્ટમાં આપેલા અન્ડરટેકીંગમાંથી મુકિત આપવા માટે ફેબ્રુઆરી ૨૦૧૫માં અરજી આપી હતી તે અરજી પણ સુપ્રિમ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. ગરાસીયા પરીવાર દ્વારા પોતાના હક્કની જમીન પરત મેળવવા સુપ્રિમ કોર્ટમાં ૨૦૧૬માં અન્ટરટેકીંગનો અમલ કરવા માટે દાદ માગી કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી ચાલી જતા દેશની વડી અદાલત દ્વારા ઠેબચડાના આરોપી જૂથ સામે વોરન્ટ ઈસ્યુ કરી દિલ્હી સુપ્રિમ કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો ત્યારે પણ તેઓએ જમીનનો કબ્જો સોપવાની ખાતરી આપ્યા બાદ જામીન મુકત થયા હતા.

આ સિવિલ કેસના સંદર્ભે જ ઠેબચડાના લખધીરસિંહ જાડેજાનું તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ હત્યા થઈ છે. જેમાં કુલ ૨૧ શખ્સોની સંડોવણી છે અને તેમાં મુખ્ય કાવતરાખોર સૂત્રધાર અક્ષીત છાયા સામે એફઆઈઆર અને ચાર્જશીટનો અભ્યાસ કરતા પુરતા પુરાવા જોવા મળ્યા હોવાનું સુપ્રિમ કોર્ટના એડવોકેટ ડી.એન.રેએ જણાવી ઉપરોકત તમામ વિગતો અને સત્ય હકીકત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી જમીન અરજી રદ્દ કરવા માટે ધારદાર દલીલ કરી હતી.

સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૫માં આરોપી જૂથોને ઠેબચડાની જમીનમાં પગ ન મૂકવા માટેનો સ્પષ્ટ ચુકાદો આપ્યો હોવા છતા આરોપી જૂથ દ્વારા કોર્ટના હુકમનો અનાદર કર્યો છે. કોર્ટના હુકમનો અનાદર કરવા માટે અક્ષિત છાયાએ આરોપી જૂથને વારંવાર પ્રેરીત કર્યાના પણ પુરાવા પોલીસ તપાસમાં સામે આવ્યા છે.

આ કેસમાં હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી વીકીભાઈ મહેતાએ આ કેસમાં કુલ ૨૧ શખ્સો સામે ગુનો નોંધાયો છે. જેમાં ઘટના સ્થળેથી ૧૨ શખ્સોની હાજરી અને તે સમયે જ ધરપકડ કરવામાં આવી છે. અન્ય શખ્સો હત્યાના કાવતરામાં સંડોવાયા છે. તમામ સામે પ્રથમ દર્શનીય કેસ છે. તમામ સામે ગંભીર ગુનો ગણાય તેવી દલીલ કરી હતી. આ કેસમાં એક શખ્સના હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ હાલના અરજદાર એટલે કે અક્ષીત છાયાનો આ કેસમાં રોલ અલગ છે. તે મુખ્ય કાવતરા જેથી તેને પેરીટીનો લાભ મળવો ન જોઈ અક્ષીત છાયાના પુત્રવધુના નામે થયેલા દસ્તાવેજી પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ કેસના સાહેદોના નિવેદનમાં પણ અક્ષિત છાયા વારંવાર આરોપી જૂથને મળતો હતો અને હત્યા માટે ઉશ્કેરતો હતો.

મુળ ફરીયાદી હરદેવસિંહ જાડેજાના એડવોકેટ રૂપરાજસિંહ પરમારે આ કેસ બાબતે જણાવ્યુ હતું કે આરોપી જૂથ દ્વારા ગેરકાયદે મંડળી રચી દરબારો ઉપર ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો ત્યારે દરબારો પોતાની જમીન પર હાજર હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા લખધીરસિંહ જાડેજાનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હોવાથી પોલીસે તે સમયે જ એકસાથે ૧૨ શખ્સોની ધરપકડ કરી છે અને અન્ય ૯ શખ્સો સામે કાવતરાનો ચાર્જ લગાવ્યો છે. અક્ષીત છાયાની જામીન અરજી નામંજૂર કરતો હાઈકોર્ટનો ચુકાદો ખરેખર રીપોર્ટેબલ છે. ૧૬ પાનાનો વિસ્તૃત ચુકાદો આપ્યો છે. જામીન અરજી તેના ગણદોષ પર નામંજૂર કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આ કેસના તમામ મુદાને ધ્યાને લીધા બાદ મહત્વનો ચુકાદો આપ્યો છે.

(4:21 pm IST)