Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ટીવી-રેડીયો પર ચૂંટણીલક્ષી જાહેરાત પરવાનગી મેળવ્‍યા બાદ જ પ્રસારિત કરી શકાશે

કલેકટરે પ્રતિબંધ મૂકયો

રાજકોટ તા.૧૮: વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ના અનુસંધાને જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી અરુણ મહેશ બાબુએ ટીવી-રેડિયો પર આચારસંહિતાની વિરુદ્ધની જાહેરાત પ્રસારિત કે પુનઃ પ્રસારિત કરવા અને કોઈ પણ ધાર્મિક અને રાજકીય હેતુ પ્રત્‍યે દિશા-નિર્દેશ કરતી હોય તેવી જાહેરાતો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુક્‍યો છે.

જાહેરાતના પ્રસારણ માટે રાજકીય પક્ષ, ઉમેદવારે જાહેરાત પ્રસારીતના સૂચિત આરંભની તારીખથી ત્રણ દિવસ અને અન્‍યોએ સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. ઇલેક્‍ટ્રોનિક ફોર્મમાં સૂચિત જાહેરાતની બે નકલ તેમજ સાથે બે પ્રમાણિત નકલ પણ જોડવાની રહેશે. આવી જાહેરાત, જિંગલ, ઇન્‍સર્શન, બાઇટસ વિગેરેનું પ્રમાણપત્ર મેળવવા માટે એમ.સી.એમ.સી. કમિટિના સભ્‍ય સચિવ અને મદદનીશ માહિતી નિયામકશ્રી, માહિતી કચેરી, જયુબેલી બાગ, રાજકોટને અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત તેમાં જાહેરાતનો નિર્માણ ખર્ચ, ઇન્‍સરશનની સંખ્‍યાના વિભાજન, તેના પ્રસારણનો અંદાજિત ખર્ચ, જાહેરાત ઉમેદવાર કે પક્ષોની ચૂંટણીની ભાવિ શક્‍યતાના લાભ માટે છે કે કેમ વગેરે બાબતો જણાવવી,  જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઈ વ્‍યક્‍તિ આપેલ હોય તો રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી તેની સોગન જાહેર કરવી, ચૂકવણુ એકાઉન્‍ટ પે ચેકથી કરવામાં આવશે, એવી કબુલાત કરવાની રહેશે.

પ્રમાણપત્ર મેળવ્‍યા વિનાની જાહેરાત  જીંગલ્‍સ, ઇન્‍સર્શન્‍સ, બાઈટ્‍સ વગેરેનું પ્રસારણ થઈ શકશે નહીં. આ આદેશો તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષા પાત્ર થશે.

(3:17 pm IST)