Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા ૬ માસમાં લેવાનો નિર્ણય

આઝાદી કા અમૃત મહોત્‍સવ હેઠળ વિદ્યાર્થીઓને પ્રોવિઝન ડિગ્રી સર્ટીફીકેટસ વિનામૂલ્‍યે કાઢી અપાશે : કુલપતિની અધ્‍યક્ષસ્‍થાને આચાર્યોની બેઠક મળી

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિના આચાર્યોની એક બેઠક મળી હતી. જેમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. કુલપતિએ બેઠકમાં જણાવ્યું હતું કે, હવેથી દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. એટલે કે કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેની પરીક્ષા 6 માસની અંદર જ લેવામાં આવશે અને તેને આખું વર્ષ રાહ જોવી પડશે નહી. જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અગાઉ 150 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી.

ધો.12ના પરિણામ જાહેર થયા બાદ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલુમાં હોવાથી નવું સત્ર શરૂ થાય તે પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમણીએ કોલેજના આચાર્યો સાથે એક ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ પદવીદાન સમારોહ થાય ત્યારે જ ડિગ્રી મળતી હતી. જેના કારણે અંદાજે લગભગ 5000 જેટલા વિદ્યાર્થીઓએ આગળ નોકરી મેળવવા માટે યુનિવર્સિટીમાં 150 રૂપિયા ફી ભરી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ કઢાવવું પડતું હતું.

પરંતુ તેની સામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરી કુલપતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવા નિર્ણય કર્યો છે. બીજી તરફ હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં એટલે કે સવારે સેમેસ્ટર 1, બપોરે સેમેસ્ટર 3 અને સાંજે સેમેસ્ટર 5ની પરીક્ષા લેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે સાથે ત્રીજો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ જાહેર કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ કોઇ વિષયમાં નાપાસ થયા હોય તો તેમને એક વર્ષ સુધી રાહ જોવી ન પડે અને તેનું આખું વર્ષ ન બગડે તે માટે નિર્ણય કરી દરેક પરીક્ષા વર્ષમાં બે વખત લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.

(3:14 pm IST)