Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

બજરંગવાડીમાં પૈસા આપવાની ના પાડતા વૃધ્‍ધ ભીખાભાઇને જાનથી મારી નાખવાની ધમકી

અવેશ તથા બે અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો

રાજકોટ,તા. ૨૦ : જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતા અને નંગ, કડા, માળા બનાવવાનું કામ કરતા વૃધ્‍ધે પૈસા આપવાની ના પાડતા ત્રણ શખ્‍સોએ વૃધ્‍ધને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર બજરંગવાડી શેરી નં. ૯માં રહેતા ભીખાભાઇ માધવજીભાઇ પટેલ (ઉવ. ૬૭)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અવેશ રજાકભાઇ તથા તેની સાથેના બે અજાણ્‍યા શખ્‍સો સામે ફરિફાદ નોંધાવી છે. ભીખાભાઇએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે જયુબેલી ગાર્ડન પાસે ફુટપાર્થ પર નંગ, કડા અને માળા બનાવવાનું કામ કરે છે. પોતાની બાજુમાં જ રજાકભાઇ પણ નંગ, કડા અને માળા બનાવવાનું કામ કરતા હોય, તેથી તેને ઓળખે છે. રજાકભાઇનો પુત્ર અવેશ પોતાની પાસેથી અવાર નવાર રૂા ૫૦-૧૦૦ વાપરવા માટે લઇ જતો હતો. બાદ પોતે થોડા સમયથી તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. તે બાબતનો ખાર રાખી રાત્રે અવેશ તથા તેની સાથે બે અજાણ્‍યા શખ્‍સોએ ઘરે આવી પોતાને ગાળો આપી જયુબેલી ગાર્ડન પાસે આવીશ તો ‘જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી જતો રહ્યો હતો. આ બનાવ અંગે પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્‍સ. ભાવીનભાઇ તથા રાઇટર અજયભાઇએ ભીખાભાઇની ફરિયાદ પરથી અવેશ તથા બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ એચ.વી.સોમૈયાએ તપાસ હાથ ધરી હતી.

(3:28 pm IST)