Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પરમાત્માએ બતાવેલ સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે ક્રિયા : અનુષ્ઠાનો કરવાથી યોગ પણ થઇ જાય છે

વિશ્વ યોગ દિવસ : પ્રભુ મહાવીરે યોગ વિશે શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યુ છે

સમગ્ર વિશ્વ ૨૧ જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવે છે.વિશ્વની પ્રત્યેક વ્યકિત નિરોગી,સ્વસ્થ અને દિર્ઘાયુ ઈચ્છે છે,એ માટે થઈ લોકો યોગ તરફ વળ્યાં છે.મહાન વૈજ્ઞાનિક એવા પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના જૈનાગમ શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યુ કે ભૂએહિં જાણં પડિલેહ સાયં અર્થાત્ દરેક જીવાત્માને શાતા અને પોતાનું જીવન પ્રિય છે. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે કરૂણાસાગર પ્રભુ મહાવીર જગતના સર્વ જીવોનું હિત ઈચ્છતા હતાં. તેઓએ મોક્ષમાં જતાં - જતાં પોતાની અંતિમ દેશના શ્રી ઉત્ત્રાધ્યયન સૂત્રના ૨૬ માં અધ્યયનમાં સાધકોને સુંદર મજાનું સમય પત્રક આપી દિધું.આગમકાર ભગવંતોએ શ્રી આવશ્યક સૂત્રઙ્ગ એટલે કે પ્રતિક્રમણ સૂત્રની અણમોલ ભેટ આપી. સામાયિક,પ્રતિક્રમણ,ધ્યાન, કાઉસગ્ગ વગેરે ક્રિયા અને અનુષ્ઠાનો કરવાથી સહજ અને સરળ રીતે યોગ પણ થઈ જાય છે.

પરમાત્માએ શ્રી નંદી સૂત્રમાં યોગની પરીભાષા સમજાવતાં કહ્યું કે, મન,વચન અને કાયાને આત્મા સાથે જોડવા તેને યોગ કહેવાય. યોગને આત્મા સાથે જોડવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.પ્રતિલેખન કરીએ એટલે હાથનું હલન - ચલન થઈ જાય,સામાયિક,ચઉવીસંથો,

વંદનાથી લઈને પચ્ચખાણ એમ છ આવશ્યકમાં આજ્ઞા સમયે ત્રણ વંદના કરવાની હોય છે. નમોથ્થુણં સમયે ડાબો ઢીચણ અને માંગલિક સમયે જમણો ઢીચણ,ઉત્કૃષ્ટ વંદના સમયે તથા ખામણા સમયે એમ પ્રતિક્રમણમાં સમયાંતરે શરીરના વિવિધ અવયવોનું હલન - ચલન રહેતું હોય છે.કાઉસગ્ગ સમયે ધ્યાન થઈ જાય. એકદંરે પ્રભુએ નિર્દેશ કરેલી ક્રિયાઓ,અનુષ્ઠાનો કરવાથી યોગ સુલભ બની જાય છે.આધ્યાત્મિક સાથે આરોગ્યનું પણ જતન થઈ જાય.દીર્ઘ દ્રષ્ટિવંત પ્રભુ મહાવીર પ્રભુ નિઃશૂલ્ક સેવા પૂરી પાડે છે.જ્ઞાન ક્રિયાંભ્યા મોક્ષ.સમયક્ જ્ઞાન સાથે ક્રિયા કરવાથી તેનું ફળ અજોડ મળે છે.

પરમાત્માએ બતાવેલ માર્ગ તરફ ચાલીએ તો કયાંય યોગ કે જીમમાં જવાની જરુર ન રહે.રોજ સવારે ઉઠીને તરત જ ચાર લોગસ્સનો કાઉસગ્ગ,દેવ - ગુરુ અને ધર્મને ત્રણ - ત્રણ વંદના કરીએ એટલે સ્ફુર્તિ પણ આવી જાય અને પ્રભુનું સ્મરણ પણ થઈ જાય. જો કે લક્ષ તો એક માત્ર મોક્ષનુ જ હોવું જોઈએ. દેહને નહીં પરંતુ આત્માની ખેવના અને માવજત કરવાનું મહાપુરુષોએ કહ્યું છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ તો શરીરને પણ શાતા રહે અને મન પણ સ્વસ્થ રહે.

(4:37 pm IST)