Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મોરબી રોડ જકાત નાકે કારની ઠોકરે રિક્ષા ચડતાં પુત્રની નજર સામે જોરૂભાઇનું મોત

યુવરાજનગરના દેવીપૂજક પિતા-પુત્ર ભંગાર દેવા જતા'તા ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૦: મોરબી રોડ પર જકાતનાકા પાસે બપોરે જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. આઇ-૨૦ કારની ઠોકરે રિક્ષા ચડી જતાં તેમાં બેઠેલા યુવરાજનગરના દેવીપૂજક પિતા-પુત્ર ફંગોળાઇ જતાં પિતાનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્‍યું હતું.
જાણવા મળ્‍યા મુજબ યુવરાજનગરમાં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં જોરૂભાઇ લધુભાઇ રાઠોડ (ઉ.૫૦) તેના પુત્ર જગદીશ જોરૂભાઇ રાઠોડ (ઉ.૧૮) સાથે રિક્ષામાં ભંગાર ભરીને ડેલામાં આપવા જતાં હતાં ત્‍યારે મોરબી રોડ જકાતનાકા પાસે આઇ ૨૦ કારના ચાલકે રિક્ષાને ઉલાળતાં બંને પિતા પુત્રને ઇજાઓ થતાં સ્‍વિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ જોરૂભાઇનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ચાર ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અને પાંચ પુત્રી છે. પોલીસે અકસ્‍માત સર્જનાર કાર ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.

 

(4:59 pm IST)