Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજકોટમાં કોરોનાકાળમાં 47 ટકા લોકો અનિવાર્ય મનોદબાણનો શિકાર બન્યા:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોનો મોટો દાવો

મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માટે ફોન આવ્યા તેમાંથી 47 % લોકો અનિવાર્ય મનોદબાણ વિકૃતિનો ભોગ બની ચુક્યા હોય તેવું લાગ્યું

રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનામનોવૈજ્ઞાાનિક વિભાગનો દાવો છે કે, કોરોનાની મહામારીએ લોકોને પાંગળા બનાવી દીધા છે. આ મહામારીએ સતત છેલ્લા દોઢ – બે વર્ષથી લોકોને વિચારતા કરી મુક્યા છે. ઘણીવાર એકને એક વિચારો આવ્યા કરે જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક હોય જેને મનોવિજ્ઞાનમાં અનિવાર્ય મનોદબાણ કે અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ કહેવામાં આવે છે. મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માટે ફોન આવ્યા તેમાંથી 47 % લોકો અનિવાર્ય મનોદબાણ વિકૃતિનો ભોગ બની ચુક્યા હોય તેવું લાગ્યું.

વ્યક્તિ ઘણીવાર કેટલાક વિચારો કરવા ઇચ્છતી નથી છતાં પોતાની ઈચ્છા વિરુદ્ધ અમુક વિચારો સતત મનમાં ફર્યા રાખે છે. વ્યક્તિ તેને અટકાવી શકતી નથી અને મનમાંને મનમાં ગૂંચવાયા કરે છે જેને અનિવાર્ય મનોદબાણ અથવા વિચાર દબાણ વિકૃતિ કહેવામાં આવે છે.

એક સ્ત્રીને પોતાના પતિને કોઈકની સાથે અફેર છે તેવા જ વિચારો આવ્યા કરે છે. તેમનો પતિ કોઈક સાથે ફોન પર વાતો કરે અથવા લેપટોપ પર કામ કરે તો એ સ્ત્રીને સતત એ જ વિચાર આવ્યા કરે કે તે કોઈક છોકરી સાથે વાતો કરે છે અથવા તો વીડિયો કોલમાં વાતો કર્યા કરે છે. આ મને ખૂબ જ ભારણરૂપ લાગે છે.

હું હવે ઓફિસે જવા લાગ્યો છું. મને કોરોના થયો હતો. પરંતુ હવે પહેલાની જેમ હું રહી શકતો નથી. મને એવુ જ લાગ્યા કરે છે કે બધા મારી જ વાતો કર્યા કરે છે. મારા મિત્રો મારી સાથે પહેલાની જેમ રહેતા નથી આ જ વિચારો મને કોરી ખાય છે. શું મને કોરોના થયો હતો માટે આવુ થાય છે કે બીજું કોઈ કારણ હશે?

એક સ્ત્રીને પોતાના સંતાનને કોઇ હથિયારના ઘા કરી મારી નાખશે એવા જ વિચારો સતત આવ્યા કરે છે અને જયારે જયારે તેને કોઈ કાર્ય માટે ચપ્પુ કે કાતર હાથમા લેવાના થાય ત્યારે તેને અત્યંત દહેશત અનુભવાય છે અને ઘા કરીને કહે છે કે આ વસ્તુ મારાં ઘરમાં ન જ જોઇએ. એ મારાં દીકરાને મારી નાખશે.

હું 3 દીકરાની મા છું. અત્યારે કોરોનાના કારણે બધું જ ઓનલાઇન ચાલી રહ્યું છે. ત્રણેયને ભણાવું છું. પણ મને એવા જ વિચારો આવે છે કે મારી ગેરહાજરીમા મારા દીકરાઓ ક્યાંક પોર્ન સાઈટ તો નહિ જોતા હોય ને? કેમ કે આવા કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. જે મને ખૂબ જ ચિંતા કરાવે છે. હું કોઈ કામ પણ કરી શકતી નથી.

મારાં સસરાને ડાયાબિટીસ છે. તેમને કોરોના થયો હતો. તેમને કોઇએ કહ્યું કે કોરોના જેને થયો હોય તેને નવા બધા જ રોગ થવાની સંભાવના છે. તો હવે આખો દીવસ તે એક જ વિચાર કર્યા કરે હવે તો મારું મરવાનું નકી જ છે. હું ટૂંક સમયમાં મરી જઈશ. રાત્રે ઊંઘ પણ કરતા નથી. દવાઓ લીધી તો પણ ફેર પડતો નથી. શું કરવું સમજાતું નહી.

મને સતત એમ જ થયાં કરે છે કે હું બહાર ઓફિસે જાવ છું ને મને કોરોના થઇ જશે તો? મારાં પરિવારનું શું થશે? મારે આવા વિચાર કરવા નથી છતાં ખબર નહિ આવા જ વિચારો કેમ આવ્યા કરે છે?

હજુ મને પહેલા જેવા જ વિચારો આવે છે કે ક્યાંક મારાં ખોરાકમાં કોરોનાના જંતુઓ તો નહિ હોય ને ?

આ બધા અનિવાર્ય વિચાર દબાણ અથવા મનોદબાણ વિકૃતિના લક્ષણો છે તેમ કહી શકાય. અનિવાર્ય મનોદબાણ એવા પુનરાવર્તક, ચિંતા ઉશકેરક વિચારો, કલ્પનાઓ કે આવેશો હોય છે જે તર્ક વિસંગત અને અણગમતા હોવા છતાં વ્યક્તિના નિયંત્રણની બહાર હોય છે. તેનું દબાણ જ એટલું ભયંકર અને ભયાનક હોય છે કે વ્યક્તિના રોજિંદા જીવનને વેરવિખેર કરી નાંખે છે. વ્યક્તિ આવા વિચારોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે છતાં તેનાથી મુક્ત થઇ શકતી નથી.

આ એક અનિવાર્ય વર્તન હોય છે જે અનિવાર્ય વિચારોથી ઉત્પન્ન થતી ચિંતાને ઘટાડવાના પ્રયાસરૂપે ઉદભવે છે. આ ક્રિયા માનસિક હોય છે. મહત્વની બાબત એ છે કે વ્યક્તિ એમ માને છે કે આ મનોદબાણ મનોભાર ઘટાડે છે અથવા ભયજનક ઘટનાને અટકાવે છે. આ વિકૃતિનું એક કેન્દ્રીય પાસું એ છે કે તેમાં નિયંત્રણ ગુમાવ્યાંનો આત્મલક્ષી અનુભવ જોડાયેલ હોય છે. વ્યક્તિ આવા મનોદબાણથી મુક્ત થવા માટે કે પોતાની જાતને કાર્ય કરતા અટકાવવા માટે સંઘર્ષ કરે છતાં તેમાં સફળ થતી નથી.

કારણો :-

જૈવિક કારણો :- આવા વ્યક્તિના મગજના ચોક્કસ ક્ષેત્રોમાં સીરોટોનિન નામના મજ્જાસંચારકની ઉણપ હોય શકે છે.

સંજ્ઞાનાત્મક અને વાર્તનિક કારણો :- આ વ્યક્તિ મા જડ અને નીતિ વિષયક વિચારસરણીનું વલણ હોય છે. તેઓ પોતાના નિષેધક અતિક્રમિ વિચારોને અસ્વીકાર્ય હોય તેમ અનુભવે છે.

મનોવૈજ્ઞાનિક કારણો :- આ વ્યક્તિના એવા આવેશો હોય છે જેમાં વ્યક્તિએ જેનું દમન કર્યું હોય. જે આવા મનોદબાણ દ્વારા પ્રગટ થાય છે.

આ ઉપરાંત નિષેધક વલણો, અકારણ વિચારો, અકારણ ચિંતાઓ, ભૂતકાળની ઘટનાઓ વગેરે જેવા કારણો હોય શકે છે.

ઉપાયો :-

– યોગ્ય નિદાન કરાવવું
– સાયકોલોજીસ્ટની મદદ લેવી
– કોઈ ગમતા કાર્યમાં વ્યસ્ત રહેવું
– અમુક વાતો કે વિચારોને દબાવી રાખવા કરતા યોગ્ય વ્યક્તિ પાસે પ્રગટ કરવા.
– નિયંત્રણ શકતી કેળવવી
– અતિ હોય તો જ દવાનો ઉપયોગ કરવો
– કુટુંબ કે મિત્રો સાથે હળવા મળવાનું રાખવું

ટૂંકમાં કહી શકાય કે ઘણી ચિંતા વિકૃતિઓ જૈવિક અને મનોવૈજ્ઞાનિક ઘટકોના સંયોજનમાંથી ઉદભવે છે. સંપૂર્ણ સ્વરૂપમાં વિકૃતિના વિકાસ માટે વ્યક્તિમા ભય પામવાનું અને ચિંતાને ઘટાડવા માટે બિનઅનુકુલનાત્મક પરિહાર વર્તનમાં વ્યસ્ત થવાનું વલણ હોવું જરૂરી છે.

(12:49 am IST)