News of Monday, 20th September 2021
રાજકોટ: શહેરના બંધ મકાનોની રેકી કરી ચોરી કરતા હાલ ઢેબર રોડ પર ગેસ્ટ હાઉસમાં રહેતા મૂળ પંજાબના શખ્સને તાલુકા પોલીસે સત્ય સાઈ રોડ પર એક મકાનની રેકી કરતો પકડી લેતા ચાર ગુના કબુલ્યા છે.
તાલુકા ડી. સ્ટાફના એએસઆઈ આર.બી.જાડેજા, હેડકોન્સ.મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર તથા કોન્સ. હરસુખભાઇ સબાડને ચોક્કસ બાતમી મળેલ કે સત્ય સાઈ રોડ પર એક શખ્સ મકાનની રેકી કરી રહ્યો છે અને તે ચોરીઓમાં સંડોવાયેલો છે. બાતમી પરથી અમરનાથ મહાદેવ મંદીરની બાજુમાં આવેલ બગીચા પાસેથી બાતમી મુજબના શખ્સને પકડી તલાસી લેતા તેની પાસેથી એક લોખંડનો ગણેશીયો આશરે સવા ફુટ જેવડો તથા એક પ્લાસ્ટીકના લીલા કરલના હાથાવાળું આશરે એકાદ ફુટ લાંબું ડીસમીસ તથા એક સોનાનો લોકેટ વાળો સાંકળી વાળી ડીઝાઇનનો આશરે બે તોલાનો હાર તથા સોના જેવી ધાતુ વાળા બે પાટલા તથા અલગ અલગ દેશની ચલણી નોટો તથા એક કાગળનું પેકેટ જેમાં મરચાની ભુકી તથા એક સેમસંગ કંપ્નીનો ગોલ્ડન કલરની બોડી વાળો એન્ડ્રોઇડ ફોન તથા એક હીરો કંપ્નીનો કાળા કલરનો કીપેડ વાળો ફોન તથા લાલ કલરનો ચાઇનાનો કીપેઇડ ફોન મળી આવ્યા હતાં. વિશેષ પૂછતાછ થતા તેણે ચોરીઓની કબૂલાત આપી હતી.
આ શખ્સએ પોતાનું નામ પરવિંદરસિંગ ઉર્ફે જશબીરશીંગ અમરશીંગ ચીંડા જાતે શીખ ઉવ.૫૧ ધંધો ડ્રાઇવીંગ રહે. અશોક ગેસ્ટ હાઉસ રૂમ નં. ૨૦૧, કોર્પોરેશન ચોક, ઢેબર રોડ રાજકોટ મુળ રહે. ગામ કાજનપુર તા.બટાળા જી.ગુરદાસપુર રાજય પંજાબ જણાવ્યું હતું.
આરોપીએ ગુન્હાની આપેલ કબુલાત જોઈએ તો નં.(૧) આજથી એકાદ મહિના અગાઉ સાતમ આઠમના તહેવાર પર બીગબજારની પાછળ આવેલ ગુલાબ નગર સોસાયટીમાં આવેલ એક બંગલા ટાઇપ મકાનમાં મોડી રાત્રીના ઘરફોડ કરી આશરે રોકડા રૂા.૫૦,૦૦૦/- તથા સોનાનો હાર તથા સોના જેવા દેખાતા પાટલા તથા અલગ અલગ દેશની ચલણી નોટો તથા એક લેડીસ ઘડીયાર તથા સોનાની વીટીની ચોરી કરેલ, નં.(૨) આજથી એકાદ મહિના અગાઉ સાતમ આઠમના તહેવાર પર સત્યસાઇ રોડ પાસે આવેલ સાઇ નગર શેરી નં.-૧ માં આવેલ સાઇ શાંતી ભવન નામના મકાનમાં મોડી રાત્રીના ઘરફોડ ચોરી કરવાના ઇરાદેથી મકાનની પાછળના ભાગેથી દીવાલ ઠેકી પ્રવેશ કરી મકાનની પાછળની બારીની ગ્રીલ તોળતો હોય દરમ્યાન સામેના મકાનની લાઇટ ચાલુ થતા કોઇ જોઇ ગયેલનું જણાતા ચોરી કર્યા વગર ત્યાંથી નાશી ગયેલ. (૩) આજથી એકાદ મહિના અગાઉ સાતમ આઠમના તહેવાર પર સત્યસાઇ રોડ પાસે આવેલ સીલ્વર એવન્યુ સોસાયટી શેરી નં.૫,માં આવેલ ઘનશ્યામ નામના બંગલોમાં પાછળની ભાગેથી ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરેલ આ દરમ્યાન બંગલોમાં રહેલ ચોકી દાર જાગી જતા પકડાવાની બીકે ચોરી કર્યા વગર નાશી ગયેલ. નં.(૪) આજથી એકાદ મહિના અગાઉ જનમાષ્ટ્રમીની રાત્રીના ઓસ્ટ્રોન સોસાયટી શેરી નં.૧, પટેલ કન્યા છાત્રાલયની સામે આવેલ "બંશલ" નામના બંગલોમાં કોઇ હાજર ન હોવાની ખાત્રી કરી આગળથી પ્રવેશ કરી મકાનના ઉપરના માળે ગેલેરીમાં ચળી દરવાજો તોળી અંદર પ્રવેશ કરવાની તૈયારીમાં હોય તે દરમ્યાન અંદરથી કોઇ જાગી જતા અને અવાજ થતા ચોરી કર્યા વગર નાશી ગયો હતો.
ચોરી કરવાના રવાડે કેમ ચડ્યો??...ચોરીઓ કઈ રીતે કરતો?
પરવિંદરશીંગ ઉર્ફે જશબીરશીંગ મુળ પંજાબનો વતની હોઇ અને ટ્રક ડ્રાઇવીંગ કરતો હોઇ આ દરમ્યાન પંજાબથી ગુજરાતમાં અલગ અલગ શહેરમાં ફેરા માટે જતો હોય જેમાં ખાસ કચ્છના અંજાર તેમજ રાજકોટ શહેરમાં સીરામીકનો માલસામાન ઠલવવા સારૂ આ બન્ને શહેરથી વધુ પરીચીત હોય તેમજ નશાની ટેવના કારણે ડ્રાઇવીંગનો ધંધો છોડી દીધેલ હતો. પોતાનો મોજ શોખ તથા નીર્વાહ ચલાવવા માટે ચોરીના રવાડે ચડેલ અને આજથી બેએક મહિના અગાઉ રાજકોટ શહેરમાં આવેલ અશોક ગેસ્ટ હાઉસમાં ધંધા રોજગાર સબબ આવેલ હોવાનું જણાવી રૂમ રાખેલ હતો.
આરીપી ચોરીઓ કરવામાં માટે જયા ધનાઢ્ય લોકોનો રહેણાંક વિસ્તાર (પોશ એરીયા) વિસ્તાર હોય તે વિસ્તારમાં દિવસ તથા રાત્રી દરમ્યાન નજીકના સમયમાં જ મકાન બંધ હોવાની ખાત્રી જેમ કે ફળિયામાં બે ત્રણ દિવસથી પડેલ ન્યુઝ પેપરો તેમજ મકાનના ફળીયામાં પડેલ કચરા આધારે મકાન કેટલા સમયથી બંધ છે તેમજ અંદાજો કાઢી નજીકમાં કોઇ ચોકીદાર કે CCTV કેમેરા છે કે નહીં તેવી ચોકકસ ખાત્રી કરી તેમાં ચોરી કરવાનું નક્કી કરતો અને મોડી રાત્રીના બે વાગ્યા પછી નક્કી કર્યા મુજબના રહેણાંકોમાં પોતાની પાસે રહેલ લોખંડનો ગણેશીયો આશરે સવા ફુટ જેવડો તથા પ્લાસ્ટીકના લીલા કરલના હાથા વાળો આશરે એકાદ ફુટ લાંબું ડીસમીસ રાખી તેના વડે મકાનના દરવાજા તથા લોખંડની બારીઓની ગ્રીલો તેમજ અન્ય એવી જગ્યા કે જમાં મકાનમાં પ્રવેશ થઇ શકે તેનો ઉપયોગ કરી ચોરીને અંજામ આપતો અને પોતાની સાથે કાગળના પેકટમાં લાલ મરચાની ભુકી રાખતો જેથી કોઇ મકાનમાં રહેવાસી જાગી જાઇ અથવા પકડાઇ જાય તો મરચાની ભુકી આંખમાં છાટી નાશી જવામાં સફળતા મળે.આરોપી પાસેથી મુદામાલ કિ.રૂા.૧,૧૫,૦૦૦નો કબ્જે કરાયો છે.
શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમ તથા એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયાની રાહબરીમાં પો.ઇન્સ. જે.વી.ધોળા, પો.સ.ઇ. એન.ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા વિજયગીરી ગોસ્વામી તથા પો. હેડકોન્સ. મોહસીનખાન મલેક તથા કોન્સ. અમીનભાઇ ભલુર તથા હરસુખભાઈ સબાડ તથા મનિષભાઇ સોઢીયા તથા ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.