Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જયનગરમાં ૧૯ વર્ષની કાજલ કુકડીયાનું બેભાન હાલતમાં મોત

કૃષ્‍ણનગરના ચંદ્રેશભાઇએ પણ બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે જયનગરમાં રહેતી કાજલ દિનેશભાઇ કુકડીયા (કોળી) (ઉ.૧૯) નામની યુવતિ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર કાજલ બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેના પિતા બેરીંગના કારખાનામાં મજૂરી કરે છે. એકાદ મહિનાથી ઉધરસ, કફની તકલીફ થઇ જતાં દવા ચાલુ હતી. સાંજે બેભાન થઇ ગયા બાદ મોત નિપજ્‍યું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

ભીમજીભાઇનું બેભાન હાલતમાં મોત

કોઠારીયા સોલવન્‍ટ હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં ભીમજીભાઇ વિરજીભાઇ ખીમાણી (ઉ.૫૫) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં કૃષ્‍ણનગર-૪ સ્‍વામિનારાયણ ચોકમાં રહેતાં અને સાળંગપુર મંદિરમાં સેવા આપતાં ચંદ્રેશભાઇ બેચરભાઇ ગોહેલ (સતવારા) (ઉ.૪૭)ને કેન્‍સરની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(10:52 am IST)