Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોનાનો ટેસ્ટ કરાવવાથી ડરો નહિ, પોઝિટિવ આવે તો ઝડપી સારવાર કરાવોઃ સ્વસ્થ થઇ પ્લાઝમા દાન કરોઃ ડો. ધવલ ગોસાઇ

લાભ પાંચમે પ્લાઝમા ડોનેટ કરી શુભ કર્મની પ્રેરણા આપતાં કમળાપુર પીએસચી સેન્ટરના ડોકટર કહે છે-સિવિલ હોસ્પિટલમાં કોઇ એ જ વ્યકિતએ ૬ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ છે, મારે નવો જ રેકોર્ડ સ્થાપિત કરવો છે : દિવાળીએ પણ ત્રણ લોકોએ પ્લાઝમા દાનની જ્યોત પ્રગટાવી હતીઃ સિવિલમાં ૩૫૦થી વધુ લોકોએ પ્લાઝમા દાન કર્યુ છેઃ ડો. કૃપાલ પૂજારા

રાજકોટ તા. ૨૦ : દીપાવલી તહેવારના અંતિમ દિવસ એટલે કે લાભ પાંચમના પ્રારંભે કમલાપુર પી.એચ.સી. સેન્ટર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. ધવલ ગોસાઈએ બીજીવાર પ્લાઝમા દાન કરી શુભ કાર્યની પ્રેરણા પુરી પાડી હતી.

તેઓનો તિથિ મુજબ લાભપાંચમે જન્મદિવસ હોઈ આ દિવસ તેમણે સામાજિક કાર્ય કરીને ઉજવ્યો છે. તેઓએ આ પહેલા પણ પ્રથમવાર તેમના જન્મ દિવસ ૨૯ ઓકટોબરના રોજ પ્લાઝમા દાન કરી કોરોનાના દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતુ.

ડો. ધવલ જણાવે છે કે, રાજકોટ સિવિલ ખાતે કોઈ એક વ્યકિત દ્વારા ૬ વખત પ્લાઝમા ડોનેટ કરવાનો રેકોર્ડ  છે. દર પંદર દિવસે પ્લાઝમા ડોનેટ કરી મારે નવો રેકોર્ડ સ્થાપિત કરવો છે. ડો. ધવલે પી.ડી.યુ સિવિલ ખાતે અભ્યાસ કર્યો હોઈ માતૃ સંસ્થાનું ઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ સમય હોવાનું તેઓ જણાવે છે.

આ પૂર્વે તેઓ જયારે સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને કોરોના લાગુ પડ્યો હતો. તેમના ફેફસામાં ૩૦% અસર થઈ ગયેલી. તેઓને સિવિલ ખાતે જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી. સ્વસ્થ થયા બાદ ડો. ધવલ પ્લાઝમા ડોનેટ કરવા કટિબદ્ઘ હતાં.

લોકોને શુભ સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ટેસ્ટ કરાવવાથી ડરવું નહીં, પોઝિટિવ આવે તો ગભરાયા વગર ઝડપી સારવાર કરાવવી અને સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનેટ કરવાનો નિશ્ચય કરવો. આ કોરોના મંત્ર તેઓ તેમના સેન્ટર પર લોકોને આપી જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.       

દિવાળી પર્વમાં લોકો જયારે પરિવારજનો સાથે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી રહ્યા હતા ત્યારે વિનોદભાઈ મોલીયા, હરેશભાઇ પરમાર અને મનોજભાઈ રાણપરાએ પ્લાઝમા ડોનેટ કરી દર્દીઓના પરિવાજનોમાં ઉજાસ ફેલાવવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે.

કોરોનાના ગંભીર દર્દીઓને કોરોનાને ફેલાતો અટકાવવા અને તેની સામે લડાઈ કરવા તેમની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરવા અર્થે શરીરમાં તૈયાર એન્ટિબોડીઝ મદદરૂપ બને છે. આ માટે કોરોનાથી સાજા થયેલ વ્યકિતનું પ્લાઝમા લેવામાં આવે છે. રાજકોટ સિવિલ ખાતે આ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સિવિલ ખાતે ૩૫૦ થી વધુ લોકોએ પ્લાઝમા દાન કરી માનવીય ધર્મ બજાવ્યાનું ડો. કૃપાલ પુજારા જણાવે છે.

(2:50 pm IST)