Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કચ્છ, પુનડીમાં રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના ૫૨માં જન્મોત્સવ અવસરે મહામાનવતા મહોત્સવ

પરમ ગુરુદેવના બ્રહ્મનાદે શ્રી ઉવસગ્ગહરં સ્ત્રોતની વિશિષ્ટ સિધ્ધિદાયક જપ સાધનામાં જોડાશે દેશ-વિદેશના લાખો ભાવિકો

રાજકોટ,તા. ૨૧: જેમનું અવતરણ લાખો હૃદયમાં માનવતાનો, અનુકંપાનો  જન્મ કરાવી, તેની સુવાસ સંપૂર્ણ વિશ્વમાં પ્રસાવી રહ્યું છે, એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૨માં અવતરણ અવસરે આયોજિત નવ દિવસીય માનવતા મહોત્સવમા રોજે-રોજ દેશ-વિદેશમાં અનેકવિધ માનવતા અને જીવદયાના કાર્યોની સાથે, આ મહોત્સવના અંતિમ ચરણ સ્વરૂપ તા. ૨૫ રવિવારનો દિવસ દેશના ખૂણે ખૂણે માનવતા અને જીવદયાના અનેકવિધ કાર્યો સાથે ઉજવાશે.

લાખો હૃદયમાં પૂજનીય વંદનીય સ્થાન પર બિરાજમાન પરમ ગુરુદેવ જયારે તેમના આ જીવનના ૫૨ વર્ષ પૂર્ણ કરી ૫૩ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે તેમના શ્રીચરણમાં ભાવ, ભકિત અને સમર્પણતાની ભેટ અર્પણ કરવા , ભારતભરના, તથા વિદેશના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લન્ડન, જર્મની, આફ્રિકા, સુદાન, સિંગાપોર, દુબઈ, આબુધાબી, મલેશિયા, આદિ અનેકાનેક ક્ષેત્રોના લાખો ભાવિકો પણ અત્યંત ઉત્સાહથી માનવતા મહોત્સવને ઉજવવા થનગનાટ કરી રહ્યા છે.

પરમ ગુરુદેવના અવતરણ દિવસે બ્રહ્મનાદે કરાવવામાં આવતી મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની વિશિષ્ટ જપ સાધના કરાવવામાં આવશે.  પરમ ગુરુદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્ય મંત્રધ્વનિ સાથે આ જપ સાધના ત્રણ તબક્કામાં કરાવી સહુને પ્રભુ ભકિતની અલૌકિક અનુભૂતિમાં જોડી દેવામાં આવશે.

કરુણાનિધાન પરમ ગુરુદેવના રોમે રોમથી સર્વ જીવો માટેની કરુણા, માનવતા અને વાત્સલ્યની પ્રગટતી ધારાની ફલશ્રુતિ સ્વરૂપ, આ મહોત્સવ પણ દેશના ખૂણે-ખૂણે માનવતા અને જીવદયાના અનેક સત્કાર્યો સાથે ઉજવાશે. લાખો અબોલ પશુ પંખીઓ, અનેક પાંજરાપોળો, ગૌશાળાઓ, અનાથાશ્રમો, વૃદ્ઘાશ્રમો, અને જરૂરિયાતમંદ ભાવિકોને શાતા-સમાધિ આપવા અર્થે આ અવસરે ઉદારહૃદયા દાનવીરો મન મૂકીને અનુદાનની વર્ષા વરસાવી માનવતાની મહેક પ્રસરાવશે.

છેલ્લા ૩ દિવસથી ચાલી રહેલા આ મહોત્સવ અંતર્ગત મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્ત્ર ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારતના અનેકાનેક ક્ષેત્રોમાં રિલાયન્સના ઉપક્રમે, અંબાણી પરિવારના સહયોગે, અનંત અર્હમ આહાર અંતર્ગત લાખો ગરીબોને ગરમા ગરમ ભોજન આપવામાં આવી રહ્યું છે.

તે સિવાય અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પંખીઓને દાણા પાણી, પશુઓને ઘાસચારો, બીમારોને મેડિકલ સહાય, મૃત્યુના મુખમાં જઈ રહેલા હજારો જીવોને એમ્બ્યુલન્સ સહાય દ્વારા અભયદાન, ગરીબ બાળકોને જ્ઞાનદાન, આદિ અનેક પ્રકારના સત્કાર્યો દ્વારા લાખો જીવોને શાતા-સમાધિ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર કાર્યક્રમ કચ્છ - પુનડીના લ્ભ્પ્ આરોગ્યધામના પાવન પ્રાંગણથી સવારના ૮:૩૦ કલાકે લાઈવના માધ્યમને પ્રસારિત કરવામાં આવશે, માનવતા મહોત્સવના આ આયોજનમાં સર્વ ભાવિકોને જોડાવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે.

(4:03 pm IST)