Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મેડીકલેઇમની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચુકવવા વિમા કંપનીને ફોરમનો આદેશ

રાજકોટ તા. રરઃ ફરીયાદીની કુલ રૂ. પ૧,૦૦૦/- મેડીકલેઇમની રકમ વ્યાજ ખર્ચ સાથે ચુકવવા વિમા કંપનીને એપોલો મ્યુનીચ હેલ્થ ઇન્સ્યુરન્સ કાું. અમદાવાદની વિરૂધ્ધમાં ગ્રાહક તકરાર કમિશનર, રાજકોટે મહત્વનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, ફરીયાદી શ્રીમતિ જે. આર. દોશી, રાજકોટે સામાવાળા એપોલોમ્યુનીચ હેલ્થ ઇન્સ્યુરન્સ કાું. લી. પાસેથી કુલ રૂ. ૧૦,૦૦,૦૦૦/-ની હેલ્થ ઇન્સ્યુરન્સ પોલીસી લીધેલી. દરમ્યાનમાં ફરીયાદીએ પોતાની ડાબી આંખમાં કેટરેકટનું ઓપરેશન કરાવવાની જરૂરીયાત થતા, ફરીયાદીએ ડો. અભય વસાવડા, અમદાવાદની હોસ્પીટલમાં પોતાની જમણી આંખનું ઓપરેશન કરાવતાં ફરીયાદીને કુલ રૂ. ૧,ર૦,૦૦૦/-નો ખર્ચ થયેલ. જેમાંથી વિમા કંપનીએ કુલ રૂ. ૬૯,૦૪૦/- જમા કરાવેલા અને બાકીના રૂ. પ૧,૦૦૦/- એ કારણોસર ડીડકશન કરેલા, કે ફરીયાદીએ, રઘુદિપ આઇ હોસ્પીટલ અમદાવાદમાં પોતાની ડાબી આંખનું મોતીયાનું ઓપરેશન કરાવેલ તેમાં સારવાર દરમ્યાન ડોકટરે ફીટ કરેલ લેન્સ, કોસમેટીક સર્જીરીની રીતે ફીટ કરવામાં આવેલ છે. આવા પ્રકારના ઓપરેશનમાં, ડોકટર મોનો ફોકલ લેન્સ ફીટ કરી શકે જેની કિંમત વ્યાજબી હોઇ છે.

વિમા કંપની ડોકટરની ફીસ નકકી કરી શકે નહીં અને ''રીજનેબલ અને નેસેસરી ખર્ચ'' કોને કહેવાય તેનો વિમા પોલીસીની ટમ્સ એન્ડ કન્ડીસન્સમાં કોઇ ખુલાસો કરવામાં આવેલ નથી. સ્ટેટ કમિશને પણ નરેન્દ્ર જોબનપુત્રાના કેઇસમાં ઠરાવેલ છે કે, ''શું વ્યાજબી ખર્ચ છે.'' તે વિમા કંપની નકકી કરી શકે નહીં. આથી ફરીયાદીની ફરીયાદ, ગ્રાહક તકરાર કમિશને ઉપરોકત દલીલો તથા રજુ થયેલ સોગંદનામાં અને દસ્તાવેજો ધ્યાનમાં લઇ ફરીયાદીની ફરીયાદ મંજુર કરી, વિમા કંપનીને કુલ રૂ. પ૧,૦૦૦/- ૭% વ્યાજ તથા ખર્ચ સાથે ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં જીલ્લા ગ્રાહક તકરાર કમિશ્નર સમક્ષ ફરીયાદી શ્રીમતિ જે. આર. દોશી તરફે એડવોકેટ શ્રી પી. આર. દેસાઇ અને સુનિલ વાઢેર એડવોકેટ તથા સંજય નાયક રોકાયેલ હતા.

(2:51 pm IST)