Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

નેતાજીએ દેશની આઝાદી માટે જીવન સમર્પીત કરી દીધેલુ

આવતીકાલે નેતાજી સુભાષચંદ્રની ૧૨૪મી જન્મજયંતિ

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩મી જાન્યુઆરી ૧૮૯૭ માં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. બાળપણમાં જ અંગ્રેજ અફસરોના ભારતવાસીઓ પ્રત્યેના તિરસ્કારયુકત વર્તનના કારણે બાળ સુભાષચંદ્રને અંગ્રેજો પ્રત્યે નફરત હતી જ. તેઓ સ્વામિ વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બન્યા હતા.

દેશમાં ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ પૂર્ણ કરી વિદેશમાં ભણીને આઈ.સી.એસ. (ઈન્ડીયન સીવીલ સર્વીસ) ની પરીક્ષામાં ચોથા ક્રમે ઉતિર્ણ થયા. પરંતુ અંગ્રેજ શાસનમાં ભારતની ગુલામીની દશા જોઈ તેમનું લોહી ઉકળી ઉઠયું અને સરકારી નોકરીને ઠોકર મારી, દેશની આઝાદીની લડતને વધુ મહત્વપૂર્ણ માની સ્વાતંત્ર સેનાનીઓના રસ્તે ચાલી નિકળ્યા.

 ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી અંગ્રેજો સામેના અસહયોગ આંદોલનમાં જોડાયા. ૧૯૩૮ અને ૧૯૩૯ માં બે વખત રાષ્ટ્રીય કોંગ્રેસના અઘ્યક્ષ બન્યા. તેઓને લાગ્યુ કે માત્ર અહિંસક લડતથી આઝાદી મળશે નહી. અંગ્રેજોને હાંકી કાઢવા, સશસ્ત્ર, રાજનીતિ તથા કુટનીતિ પણ લડાઈ લડવી પડશે. તેથી તેઓએ ક્રાંતિકારીઓનો રસ્તો પસંદ કર્યો. આ દરમિયાન વિશ્વમાં બીજુ વિશ્વયુઘ્ધ ફાટી નિકળ્યું. તેઓએ લાગ જોઈ અંગ્રેજોના દુશ્મન દેશોનો સાથ લેવાનું નક્કી કર્યું. આ સમયે કલકત્તા ખાતે અંગ્રેજોએ તેઓને નજર કેદ રાખેલ હતા. ત્યાંથી અંગ્રેજ સિપાઈઓના સખત પહેરા હેઠળથી પણ તેઓ વેશપલ્ટો કરીને છટકી ગયા. જર્મન રેડીયો ઉપરથી જયારે તેઓએ દેશને સંબોધન કર્યું ત્યારે બધાને ખબર પડી કે નેતાજી તો જર્મની પહોંચી ગયા છે અને અંગ્રેજ શાસકોને આશ્ચર્ય સાથે આંચકો લાગ્યો. જર્મનીથી તેઓ જાપાન ગયા. જાપાની રેડીયો પરથી ભારત દેશવાસીઓને સંબોધનમાં તેઓએ પ્રથમ વખત ગાંધીજીને 'રાષ્ટ્રપિતા' તરીકે સંબોઘ્યા.

તેઓ જાપાનથી સીંગાપુર પહોંચ્યા, જયાં તેઓએ કેપ્ટન મોહનસિંહ દ્વારા સ્થાપવામાં આવેલ આઝાદ હિન્દ ફોજમાં ભારતીય સેનાના યુઘ્ધકેદીઓનો સમાવેશ કરી પુનરચના કરી તેની કમાન પોતાના હાથમાં લીધી. મહિલાઓ માટે રાણીલક્ષ્મી રેજીમેન્ટની સ્થાપના કરી જેનું સુકાન સહગલને સોંપવામાં આવ્યું. 'આઝાદ હિન્દ ફોજ' સાથે તેઓ બર્મા પહોંચ્યા. ત્યાં તેઓએ પોતાનો પ્રસિઘ્ધ નારો 'તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુગા' આપ્યો તથા 'જયહિન્દ' નું રાષ્ટ્રીય સુત્રપણ આપ્યું. ત્યાંથી તેઓએ ફોજના કેપ્ટન તરીકે 'ચલો દિલ્હી' ની હાકલ કરી. કમનસીબે બીજા વિશ્વયુઘ્ધમાં જાપાન સહિતના સાથી દેશોની હાર થઈ એટલે નેતાજી ' આઝાદ હિન્દ સરકાર' દિલ્હીનું શાસન ન લઈ શકી પણ અંગ્રેજ સલ્તનતના પાયા જરૂર હચમચી ગયા. ભલે પ્રત્યક્ષ રીતે 'આઝાદ હિન્દ ફોજ' ની હાર થઈ પણ પરોક્ષ રીતે આઝાદીની લડતમાં તેની ઘણી મોટી અસર થઈ અને એટલે જ ૧૯૪૭ માં નૌસેનાના વિદ્રોહથી અંગ્રેજ શાસકોને ડુક્રાઘાત લાગ્યો. એક બાજુ ગાંધીજીની આગેવાનીમાં સત્યાગ્રહીઓની અહિંસક લડત અને બીજી બાજુ શસ્ત્ર લડતથી અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પડી અને આપણો દેશ આઝાદ થયો.

આજે જયારે આઝાદ ભારતની સરહદો સળગે છે, નકસલવાદ, પ્રાંતવાદ, દેશની આંતરીક બાબતો ઉપર ચાલતા અલગ-અલગ આંદોલનો વગેરેના કારણે સામાન્યજન પરેશાન છે આવા સમયે દેશને 'નેતાજી' જેવા રાષ્ટ્ર પુરૂષની ખોટ સાલે એ સ્વાભાવિક છે. લોકશાહી માટે હિન્દુસ્તાનની જનતા હજુ અપરિપકવ હોવા અંગેનું નેતાજીનું જે તે વખતનું નિરિક્ષણ સાચુ પડતુ જણાય છે.

આમ નેતાજી સુભાષચંદ્ર બોઝ એક એવું નામ છે જે સાંભળીને જ મનમાં દેશભકિતની ભાવનાના મોજા ઉછળવા માંડે, નિરાશા દૂર થઈ જાય અને રાષ્ટ્રહિતમાં કંઈક કરી છૂટવાની તમન્નાઓ મનમાં ઉભરાવા લાગે. 'નેતાજી' ઉપનામ જ તેમના જીવન વિશે ઘણુ બધુ કહી દે છે. તેઓએ કદીપણ પોતાના સિઘ્ધાંતો સાથે બાંધછોડ કરી નથી. દેશની આઝાદી માટે પોતાનું બઘુ ન્યોછાવર કરી દીધું. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાનું જીવન રાષ્ટ્રસેવામાં લગાડી દીધું. તેઓની નસે નસમાં રાષ્ટ્રભકિત ઠસોઠસ ભરેલી હતી. મા ભોમ કાજે બલીદાન દેનાર એક સાચા સૈનિક, કેપ્ટન, નેતા, રાજનીતિજ્ઞ, કુટનીતિશ્ઞ, ક્રાંતિવીર અને માં ભારતના દિવ્ય સપૂત એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને જન્મ જયંતિ નિમિતે કોટી...કોટી...કોટી... વંદન. 

સંકલન

મનસુખ કાલરીયા

મો. ૯૪૨૬૯ ૯૪૪૫૦

પૂર્વ કોર્પોરેટર,

રાજકોટ- મ.ન.પા.

(3:55 pm IST)