Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

મિલ્કત વેરામાં ૧૦ ટકા વળતરનાં છેલ્લા ૮ દિ'

આજ દિન સુધીમાં ૧.૬૬ લાખ શહેરીજનોએ તંત્રીની તીજોરીમાં ૮૩.૩૨ કરોડ ઠાલવ્યાઃ વધુ ને વધુ લોકોને આ વળતર યોજનાનો લાભ લેવા પદાધિકારીઓની અપિલ

રાજકોટ,તા.૨૨:  મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૬ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ કરવામાં આવી છે ત્યારે ૧૦ ટકા વળતર યોજનાને છેલ્લુ અઠવાડિયું એટલે કે, ૩૦ જુન સુધી જ હોય વધુ ને વધુ શહેરીજનોને આ વળતર યોજનાનો લાભ લેવા મેયર સહિતનાં પદાધિકારીઓએ અપીલ કરી છે. આજ દિન સુધીમાં તંત્રની તીજોરીમાં ૧.૬૬ લાખ કરદાતાઓએ રૂ.૮૩.૩૩ કરોડનો મિલ્કત વેરો ભર્યો છે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, અને દંડક સુરેન્દ્રસિંહ વાળાની એક યાદીમાં જણાવ્યુ છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૧ જુલાઈ સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

ચાલુ વર્ષમાં આજ સુધીમાં આવક રૂપિયા ૮૩.૩૨ કરોડ થયેલ છે. ૧.૬૬ લાખ લોકોએ વળતર યોજનામાં લાભ લીધેલ છે. જેમાં રૂ.૨૨.૧૪ કરોડ રોકડ, રૂ.૧૭.૬૯ કરોડ ચેક દ્વારા અને રૂ.૪૩.૪૮ કરોડ ઓનલાઈન દ્વારા ભરવામાં આવેલ છે.

 મિલ્કત વેરાની ૧૦% વળતર યોજનાને છેલ્લું અઠવાડિયું એટલે કે, ૩૦ જુન સુધી જ હોય, વધુ ને વધુ લોકોએ આ વળતર યોજનાનો લાભ લેવા પદાધિકારીશ્રીઓએ અપીલ કરેલ.

કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

(3:13 pm IST)