Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કોરોનામાંથી સાજા થયા બાદ ટેન્શનમાં રહેતા લીલાબેન ઠુમ્મરનો ફાંસો ખાઇ આપઘાત

સાધુ વાસવાણી રોડ પર મધુવન પાર્કમાં બનાવ : પટેલ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૨ : સાધુ વાસવાણી રોડ પર મધુવન પાર્કમાં કોરોનામાંથી સાજા થયા બાદ ટેન્શનમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલા મધુવન પાર્ક શેરી નં. ૬માં રહેતા લીલાબેન દેવરાજભાઇ ઠુંમર (ઉ.વ.૫૨) એ ગઇકાલે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોએ લીલાબેનને લટકતા જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા પ્રૌઢાનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. અલ્પેશભાઇ અવાડિયા અને રાઇટર ચીરાગસિંહ ગોહિલે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં મૃતક લીલાબેનને સંતાનમાં એક પુત્ર છે. કોરોનામાંથી સાજા થયા બાદ તે માનસીક ટેન્શનના કારણે તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે.

(3:17 pm IST)