Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રૈયાધાર મચ્છોનગરમાં કાકાના ઘરે રહેતી ૧૪ વર્ષની અંજલી વઢીયારાની આત્મહત્યા

કાકા ઘરે આવતા સગીરા લટકતી જોવા મળી : કારણ અકળ

રાજકોટ તા. ૨૨ : રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા સામે મચ્છોનગરમાં કાકા સાથે રહેતી ૧૪ વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા સામે મચ્છોનગરમાં કાકા-કાકી સાથે રહેતી અંજલી વિનોદભાઇ વઢીયારા (ઉ.વ.૧૪)એ ગઇકાલે પોતાના ઘરે રૂમમાં લાકડાની આડીમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. કાકા ઘરે આવ્યા ત્યારે સગીરાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી નિલેશભાઇ ગોહેલ તથા પાઇલોટ નીલેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ કરતા સગીરાનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. અલ્પેશભાઇ અવાડિયા તથા રાઇટર ચીરાગસિંહ ગોહિલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક અંજલી બાળપણથી કાકા-કાકી સાથે રહેતી હતી. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:18 pm IST)