Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલમાં નિમાયેલ અનિલભાઇ દેસાઇને ફુલડે વધાવતા વકીલો

રાજકોટ બાર એસો. સહિતના વિવિધ વકીલ મંડળના હોદેદારો સહિત મોટી સંખ્યામાં વકીલોએ કોર્ટ પાસે આતશબાજી કરી ઉત્સવ મનાવ્યોઃ અનિલભાઇની નિમણુંકથી વકીલોમાં ખુશીની લહેરઃ ચારેકોરથી અભિનંદન વર્ષા..

રાજકોટઃ પ્રદેશ ભાજપ લીગલ સેલમાં સહ કન્વીનર તરીકે નિમાયેલ અનિલભાઇ દેસાઇની નિમણુંકની વરણીને  લઇને આજે કોર્ટ પાસે ભવ્ય આતશબાજી સાથે ઢોલનગારા વગાડીને ખુશી મનાવતા બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ પી. સી. વ્યાસ, સિધ્ધરાજસિંહ જાડેજા, જીતેન્દ્ર પારેખ, કમલેશ શાહ, પિયુષ શાહ, તુષાર બસલાણી સહિતના વકીલો તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રરઃ ગુજરાત ભાજપ પ્રદેશ લીગલ સેલમાં રાજકોટના જાણીતા એડવોકેટ અનિલભાઇ દેસાઇની સહ કન્વીનર તરીકે નિમણુંક થતાં રાજકોટના વકીલોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આજે રાજકોટ બાર એશો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પી. સી. વ્યાસ, ટ્રેઝરર જીતેન્દ્ર પારેખ અને કારોબારી સભ્યો ઉપરાંત રાજકોટ જુદા જુદા વકીલ મંડળના પ્રમુખો હોદેદારોસહિત શહેરના સીનીયર-જુ઼નિયર તેમજ મહિલા વકીલો દ્વારા અનિષભાઇની નિમણુંકને વધારીને કોર્ટ પાસે ઉજવણી કરવામાં આવી હતી.

આજે બપોરના ૧ર-૩૯ કલાકે મોચી બજાર કોર્ટ પાસે વકીલોએ મોટી સંખ્યામાં ભેગા થઇને પ્રદેશ ભાજપ લીગલ સેલના મહત્વના હોદા ઉપર નિમાયેલ અનિલભાઇ દેશાઇને ફુલડે વધાવી મોઢા મીઠા કરાવી ભવ્ય આતશબાજી સાથે ઢોલનગારા વગાડીને અનિલભાઇને અભિનંદન આપ્યા હતાં.

આ પ્રસંગે રાજકોટના સીનીયર એડવોકેટ લલિતસિંહ શાહી, જયદેવ શુકલ, કીરીટભાઇ પાઠક, અર્જુનભાઇ પટેલ, પિયુષભાઇ શાહ, અજય જોષી, ભગીરથસિંહ ડોડીયા, અશ્વિન મહાલીયા, કમલેશ શાહ, તુષાર બસલાણી, રાજેન્દ્રસિંહ ગોહિલ, સહિતના વકીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતાં અને અનિલભાઇ દેસાઇની નિમણુંકને વધાવી હતી.

આ ઉપરાંત મહિલા વકીલો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઇ હતી અને અનિલભાઇની નિમણુંકને વધાવીને શુભેચ્છા પાઠવી હતી. ગઇકાલે અત્રે ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર જે. જે. પટેલ દ્વારા સહ કન્વીનરના હોદા ઉપર રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઇ દેસાઇની નિમણુંક કરી હતી. જે સમાચાર વાયુવેગે રાજકોટના વકીલોમાં ફેલાતાં આજે વકીલો પોતાનો ઉત્સાહ રોકી શકયા નહોતા અને અનિલભાઇની નિમણુંકને આવકારીને તેઓને ફુલડે વધાવી ઢોલનગારા સાથે નાચી ઉઠયા હતાં. અનિલભાઇની નિમણુંકથી રાજકોટના વકીલોમાં ખુશીની લાગણી જન્મી છે.

(3:44 pm IST)