Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુજરાત હાઇકોર્ટના વરિષ્‍ઠ વકીલ અને બંધારણના નિષ્‍ણાંત જાહેર જીવનના અગ્રણી કૃષ્‍ણકાંત વખારીયાનું ૯૨ વર્ષે અવસાન

૧૯૫૪માં રાજકોટથી વકીલાત શરૂ કરી હતી : લોકસભા-વિધાનસભાની ચુંટણી પણ લડેલા

રાજકોટ,તા. ૨૩ : કૃષ્‍ણલાલ ગુલાબચંદ વખારીઆ. આ નામે તેમણે ૧૯૫૭માં બીજી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. લોકસભા બેઠકનું નામ ગિરનાર અને રાજકીય પક્ષનું નામ - પ્રજા સોશિયાલિસ્‍ટ પાર્ટી. સમય જતા એ અમરેલી લોકસભા બેઠક તરીકે ઓળખાવાઈ. કોંગ્રેસની હાજરી વચ્‍ચે જેના ઉમેદવારોની નોંધ લેવી પડે એ પક્ષનું ટૂંકમાં નામ PSP. કૃષ્‍ણલાલ વખારીઆ એમાં પરાજિત થયા હતા.

કૃષ્‍ણકાંત વખારીઆ વકીલાતમાં સફળ થયા. આ નામે જ જાહેર ઓળખ પામ્‍યા. છ દાયકાની વકીલાત સાથે આજે તેઓ આયુષ્‍યના દસમા દાયકામાં છે. પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. જીવનસાથીનું નામ લીલાબહેન. પુત્ર મેહુલ વખારીઆ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ છે. બે પુત્રીઓ નામે અવની મહેતા અને બિંદુબહેન ઠક્કર તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.

સૌરાષ્ટ્રના બગસરા ગામના વતની તેમનો જન્‍મ મોસાળ બાબરામાં ૧૬ સપ્‍ટેમ્‍બર ૧૯૩૦ના રોજ થયો હતો. એ સમયે રાજકોટ જિલ્લાના આ બન્ને ગામ હવે અમરેલી જિલ્લાનો હિસ્‍સો ગણાય છે. તેમના પિતા પાટડીના દિવાન હતા. પાટડી જેવા નાના ગામમાં ભણવાનું શક્‍ય નહોતું એટલે શિક્ષણની શરૂઆત વિરમગામમાં હોસ્‍ટેલમાં રહીને કરી. એ પછી માધ્‍યમિક શિક્ષણ જૂનાગઢમાં તેમજ બહાઉદ્દીન કોલેજમાંથી બી. એ. થયા. જૂનાગઢના દિવાને ૧૯૪૭માં પાકિસ્‍તાન સાથે જોડાણ જાહેર કર્યું તો એનો મુસદ્દો જોવા તેઓ મિત્રો સાથે રાજના પ્રેસ પર ગયા હતા. પછી? પછી શું. એ જ મિત્રો સાથે આ અતાર્કિક જોડાણનો વિરોધ કરવા ભૂગર્ભ પ્રવૃત્તિ આદરી જે ‘આરઝી હકૂમત' સંગઠન સ્‍વરૂપે ઓળખાયું. ચળવળને કારણે દિવાન પાકિસ્‍તાન ભેગા થયા અને કૃષ્‍ણકાન્‍તભાઈ વકીલાતનું ભણવા અમદાવાદની સર એલ. એ. શાહ લો કોલેજ ભેગા થયા.

જૂનાગઢમાં ભણતા હતા એ સમયે ચોરવાડથી આવેલા યુવાન ધીરજલાલ હીરાચંદ અંબાણી સાથે મિત્રતા થઈ. સમય જતા રિલાયન્‍સ ઉદ્યોગ સમૂહના સ્‍થાપક તરીકે ઓળખાયા એ જ ધીરુભાઈ અંબાણી.

કૃષ્‍ણકાન્‍તભાઈએ રાજકોટથી વકીલાતની કારકિર્દી ૧૯૫૪માં શરૂ કરી. એ સમયે મુંબઈ હાઇકોર્ટની એક બેન્‍ચ રાજકોટમાં હતી. ૧૯૬૦માં અલગ ગુજરાત રાજય સાથે ગુજરાત હાઇકોર્ટ અસ્‍તિત્‍વમાં આવી એટલે તેઓ રાજકોટ છોડી અમદાવાદ આવી ગયા. મોટાભાઈ નૌતમભાઈ ગુજરાત સરકારના ચીફ એન્‍જિનિયર હતા. એમનો ટેકો હતો એથી અમદાવાદમાં સ્‍થાયી થઈ શક્‍યા. એવા સ્‍થાયી થયા કે ‘રિલાયન્‍સ'જૂથ માત્ર લોગો વડે ઓળખાતી કંપની બની ગઈ ત્‍યારે ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ રમણીકભાઈ અંબાણી નવરંગપુરામાં તેમની પડોશમાં રહેવા આવી ગયા.

પ્રજા સમાજવાદી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડેલા કૃષ્‍ણકાન્‍તભાઈ ગુજરાત વિધાનસભાની ત્રણ ચૂંટણીઓ લડ્‍યા અને પરાજિત થયા. બીજી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૧૯૬૨માં બાબરા બેઠક પર પ્રજા સોશિયાલિસ્‍ટ પાર્ટીના, છઠ્ઠી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૧૯૮૦માં જસદણ બેઠક પર જનતા પાર્ટી - જેપી જૂથના અને દસમી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૧૯૯૮માં ધારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં લાંબો સમય, ૨૦૧૦ સુધી તેના કાયદાકીય બાબતોના સલાહકાર રહ્યા. ગુજરાત કોંગ્રેસની ઘણીબધી આંતરિક ખટપટોના સાક્ષી અને ગુંચ ઉકેલના માર્ગદર્શક.

૧૯૫૪થી ૧૯૯૮ એમ પિસ્‍તાલીસ વર્ષ સુધી તેઓ અસીલો માટે કોર્ટમાં અપીઅર થતા રહ્યા. એમ કુલ મળીને તેમની વકીલાત પાંસઠ વર્ષની થવા જાય છે. આ દરમિયાન બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના મુખપત્ર ‘ઇન્‍ડિયન એડવોકેટ્‍સ'ના એડિટર હતા. અમદાવાદમાં સ્‍થપાયેલી સંસ્‍થા ‘વિશ્વ ગુજરાતી સમાજ'ના સ્‍થાપકોમાંના એક અને તેના મુખપત્ર ‘વિશ્વમેળો'ના તંત્રી રહ્યા. કૌટુંબિક જીવન, વકીલાતની કારકિર્દી અને રાજકીય જીવનના સંભારણાને આલેખતું તેમનું પુસ્‍તક ‘યુગદર્શન'નામે પ્રસિધ્‍ધ થયું છે. રાજકોટના પ્રવીણ પ્રકાશન જેના પ્રકાશક છે એવા આ પુસ્‍તકનું વિમોચન અમદાવાદમાં લોર્ડ મેઘનાદ દેસાઈએ કર્યું હતું.

વાંચનના શોખીન મિસ્‍ટર વખારીઆ કાયદા અને સાહિત્‍યના પુસ્‍તકોની બહુભાષી અને સમૃધ્‍ધ લાયબ્રેરી ધરાવે છે.

વખારીઆ પરિવાર પાસે ઝવેરચંદ મેઘાણીનું સરસ સંભારણું છે. તેમણે લખેલો અને ગુજરાતી પત્ર સાહિત્‍યમાં અમર બનેલો  લિ. હું આવું છું' પત્ર કૃષ્‍ણકાન્‍તભાઈના પિતા ગુલાબચંદભાઈને ઉદ્દેશીને લખાયો છે. તેઓ અને મેઘાણીભાઈ બગસરામાં બાળપણના મિત્રો હતા.

કૃષ્‍ણકાન્‍તભાઈ સોશિઅલ મીડિયા સાઇટ ‘ફેસબુક' પર નિજાનંદે સક્રિય રહેતા હતા.

(11:13 am IST)