Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુજકેટની પરીક્ષા ૩ એપ્રિલે યોજાશેઃ GSEB બોર્ડ દ્વારા જાહેરાત કરાઇ

રાજકોટ,તા. ૨૩: ધોરણ-૧૨ સાયન્‍સમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષા ૩ એપ્રિલે યોજાશે. ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી ૪ વાગ્‍યા સુધી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજકેટની પરક્ષી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્‍લોમા, ડિગ્રી એન્‍જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. ધોરણ ૧૨ (૧૦+૨)પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ ૨૦૧૭થી કોમન એન્‍ટ્રેસ ટેસ્‍ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. જેથી આ વર્ષે રાજયમાં ડિગ્રી એન્‍જિનિયરિંગ, ડિગ્રી ડિપ્‍લોમાં ફાર્મસી અભ્‍યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ એ,બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા આપતા હોય છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની રજીસ્‍ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્‍યપુસ્‍તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્‍યાસક્રમ GUJCET-૨૦૨૩ ની પરીક્ષા માટે રહેશે.

ગુજરાત કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટ માટે જણાવવામાં આવેલા વિષયના બહુવિકલ્‍પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

(3:54 pm IST)