Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

લગ્નના વાયદા કરી નિરજે સર્વસ્વ લૂંટ્યું: છેલ્લે કહ્યું-હવે તું તારા ઘરે, હું મારા ઘરે!

શેર માર્કેટમાં જોબ વખતે ઓળખ થઇ, રિલેશનશીપમાં છ વર્ષ સુધી રહ્યા...પછી યુવાને કહ્યું મને બીજી મળી ગઇ : ભકિતનગર પોલીસે ગીતાનગરના શખ્સ વિરૂધ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યોઃ ધરપકડની તજવીજ

રાજકોટ તા. ૨૩: દૂષ્કર્મનો વધુ એક કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. જેમાં ગીતાનગર-૨ ચામુંડા એપાર્ટમેન્ટર ફલેટ નં. ૩૦૩માં રહેતાં નિરજ વિનોદરાય આડતિયા નામના પરિણીત શખ્સ વિરૂધ્ધ એક ૩૫ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી આઇપીસી ૩૭૬ મુજબ બળાત્કારનો ગુનો નોંધાયો છે. ભોગ બનનાર યુવતિ ૨૦૧૩માં શેર બજારનું કામ કરતી ઓફિસમાં નોકરી કરતી હતી ત્યારે શેરના કામ માટે આવતાં નિરજ સાથે પરિચય થતાં એક બીજાને ફોન નંબર આપ્યા હતાં. એ પછી બંને વચ્ચેનો પરિચય વધતાં અને સંબંધ ગાઢ થઇ જતાં સાથે રહેવા માંડ્યા હતાં. પત્નિ સાથે ત્યારે નિરજને છુટાછેડાનો કેસ ચાલતો હતો. પોતે છુટાછેડા બાદ લગ્ન કરી લેશે તેવી સતત લાલચ આપી છ વર્ષ સુધી નિરજે શોષણ કર્યા બાદ હવે મને બીજી છોકરી મળી ગઇ છે, તું તારા ઘરે જા અને હું મારા ઘરે જાવ છું...તેમ કહી તેણીને તરછોડી દીધાનો આરોપ મુકાયો છે.

ભોગ બનનારે એફઆઇઆરમાં જણાવ્યું છે કે નિરજ સાથે સંપર્ક ગાઢ થયા પછી ૨૦૧૪માં તેણે મને પોતાની ઘરે પોતાના મમ્મી સાથે વાત કરવાના બહાને બોલાવી હતી. પણ ત્યાં જતાં તેના મમ્મી કે બીજુ કોઇ ઘરે નહોતું એ વખતે તેણે બળજબરી કરી શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી થોડા દિવસ બંને એકબીજા સાથે બોલ્યા નહોતાં. બાદમાં દોઢેક વર્ષ સુધી નિરજ સાથે જ પોતે લગ્ન વગર રહી હતી. તે વખતે પણ નિરજ લગ્ન કરવા બાબતે આડા અવળા બહાના બતાવી દેતો હતો. ૨૦૧૬માં  નિરજના માતા સાથે બોલાચાલી થતાં પોતે અને નિરજ બહારગામ રહેવા જતાં રહ્યા હતાં. ત્યાં પતિ-પત્નિ તરીકે જ રહેતાં હતાં. ફરી ૨૦૧૭માં રાજકોટ રહેવા આવ્યા હતાં.

એ પછી નિરજના તેની પત્નિ સાથે છુટાછેડા પણ થઇ ગયા હતાં. પરંતુ તેની પત્નિએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આથી નિરજે વધુ થોડો સમય લગ્ન માટે રાહ જોવાનું બહાનુ કર્યુ હતું. ત્યારબાદ નિરજ કોઇ છોકરીઓ સાથે ચેટીંગ કરતો હતો અને એક છોકરી સાથે વિડીયો કોલીંગ પણ કરતો હોઇ ફરિયાદી તેને જોઇ ગઇ હતી. આથી ઝઘડો થયો હતો. છેલ્લે ૬/૬/૨૦ના રોજ નિરજે હવે તું તારા મમ્મીના ઘરે જા અને હું મારા મમ્મીના ઘરે જતો રહુ છું, મને બીજી છોકરી મળી ગઇ છે, તારી સાથે લગ્ન કરવા નથી. તેમ કહી દીધું હતું. નિરજ સાથેના રિલેશનમાં ૨૦૧૫માં બે વખત અબોર્સન પણ ફરિયાદીને કરાવવું પડ્યું હતું. અલગ-અલગ પોલીસ મથકમાં અરજી કર્યા બાદ અંતે ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો છે. પીઆઇ જે. ડી. ઝાલા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે ગુનો નોંધી આરોપની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(12:51 pm IST)