Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ભાજપની વિચારધારાને મજબુત કરતા બ્રહ્મ અગ્રણીઓની કમિટીની રચના : રામભાઇ મોકરીયા

જીતુભાઇ મહેતા, ઉમેશભાઇ રાજ્‍યગુરૂ, બકુલભાઇ જાની, ભરતભાઇ ઓઝા, મનીષભાઇ જોશી, જનાર્દનભાઇ આચાર્ય, અજયભાઇ જોશી સહિતાને જવાબદારી સોંપાઇ

રાજકોટ,તા. ૨૩ : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાને લઇને સૌરાષ્‍ટ્રના પાટનગર એવા રાજકોટ ખાતે રાજ્‍યસભાના સંસદસભ્‍ય રામભાઇ મોકરીયાના અધ્‍યક્ષ સ્‍થાને ભાજપ બ્રહ્મસમાજના પરિવારનું સૌરાષ્‍ટ્ર ઝોનનું કાર્યાલય મારૂતિ હાઉસ ખાતે ખુલ્લુ મુકવામાં આવેલ ત્‍યારે બહોળી સંખ્‍યામાં ભાજપની વિચારધારા સાથે જોડાયેલા બ્રહ્મસમાજના પ્રતિષ્‍ઠિત આગેવાનો તથા બ્રહ્મસમાજના ભાઇઓ બહેનો સાથે વિશાળ સંખ્‍યામાં હાજર રહેલા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાને લઇને સૌરાષ્‍ટ્રની તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્‍ય વિજય થાય તે માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં સૌરાષ્‍ટ્રમાં ચૂંટણી પ્રવાસની જવાબદારી બ્રહ્મસમાજના અગ્રણીશ્રીઓ જીતુભાઇ મહેતા (શહેર અગ્રણી), ઉમેશભાઇ રાજ્‍યગુરૂ (પૂર્વ મંત્રી), બકુલભાઇ જાની (રીટાયર્ડ ડી.વાય.એસ.પી.), ભરતભાઇ ઓઝા, મનીષભાઇ જોશી (એડવોકેટ), જનાર્દનભાઇ આચાર્ય, તથા અજયભાઇ જોશી (એડવોકેટ) વિગેરે નામાંકિત લોકો સૌરાષ્‍ટ્રની ભાજપની તમામ બેઠકો ઉપર જીત થાય તે માટે સભાઓ કરશે. અને ભાજપની તરફેણમાં બહોળી સંખ્‍યામાં મતદાન કરવા બધાને આહવાન કરવાનું નક્કી કરવામાં આવ્‍યું.

ઉપરાંત આગામી દિવસોમાં બ્રહ્મસમાજના રાષ્‍ટ્રીય નેતાઓ દ્વારા મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવશે. ‘બ્રહ્મવાદ એ જ રાષ્‍ટ્રવાદ' એ સુત્રને સાર્થક કરવા રાષ્‍ટ્રને સમર્પિત એવી ભાજપની વિચારધારાને મજબુત કરવા માટે સૌરાષ્‍ટ્રના દરેક જીલ્લામાં બ્રહ્મસમાજને એકત્રિત કરી ગામે ગામ ભાજપનો કેસરિયો લહેરાય અને ભવ્‍ય વિજય થાય તે હેતુ સિધ્‍ધ થાય તે માટે આ કમિટી બનાવેલ અને તેમાં કમિટી પોતાનું યોગદાન આપશે.

સમગ્ર બ્રહ્મસમાજે આ કાર્યક્રમ સફળ થાય તે માટે કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે શ્રી રામભાઇ મોકરીયાને એકી અવાજે વધારી લીધો અને દરેક કાર્યક્રમ શ્રી રામભાઇ મોકરીયાના અધ્‍યક્ષ સ્‍થાને અને તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્‍યું હતું.

(3:58 pm IST)