Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પત્નીના ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ પતિ મહેશ ચનિયારા લાપતા થતા પરિવારજનો ચિંતામાં

પત્નીના મૃત્યુબાદ સતત ગુમસુમ રહેતો હતો : શનિવારે વહેલી સવારે યુવાન ઘરેથી નીકળી ગયો : દુધસાગર રોડ અમરનગરનો થોરાળા પોલીસે શોધખોળ આદરી

રાજકોટ,તા. ૨૪ : દૂધસાગર રોડ પર અમરનગરમાં રહેતી અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી પરિણીતા તા. ૧૩ના ઘરેથી નીકળ્યા બાદ શાપરમાં એસીડ પીધેલી હાતલમાં મળી આવ્યા બાદ તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યુ હતું. બાદ શનિવારે પતિ શનિવારે ભેદી રીતે લાપતા થતા પરિવારજનો ચિંતીત થઇ ગયા હતા.

મળતી વિગત મુજબ દૂધસાગર રોડ પરના હાઉસીંગ બોર્ડ પાસેના અમરનગરમાં રહેતી પરિણીતા શિતલ મહેશભાઇ ચનિયારા (ઉવ.૨૫) અને તેનો પતિ મહેશ ચનીયારા બંને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા અને દરરોજ બપોરે ઘરેથી નીકળી માલવીયાનગર ચોકમાં આવેલી લાયબ્રેરીમાં વાંચવા જતા હતા. ગત તા. ૧૩ના રોજ બપોરે શીતલ ઘરેથી લાયબ્રેરી જવાનું કહીની નીકળ્યા બાદ લાપતા થઇ ગઇ હતી. અને તા. ૧૪ના રોજ શાપરમાંથી બેભાન હાલતમાં મળી આવતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તા. ૧૭ના રોજ તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પરિણીતાએ એસીડ પીવાના લીધુ મૃત્યુ નિપજ્યુ હોવાનું બહાર આવતા શાપર વેરાવળ પોલીસે પરિણીતા મૃત્યુ પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. દરમ્યાન આ ઘટનામાં ગત શુક્રવારે પત્નીની તમામા ધાર્મિકવિધી પુરી થયા બાદ શનિવારે વહેલી સવારે પતિ મહેશ ચનીયારા પોતાના ઘરેથી નીકળી ગયો હતો. સવારે તેના પિતા ઉઠ્યા ત્યારે મહેશ ઘરમાં જોવા ન મળતા પરિવારજનો સહિતે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પરિવારજનોએ થોરાળા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા પી.એસ.આઇ એચ.બી.વડાવીયાએ તપાસ હાથ ધરી છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો મોબાઇલ નં. ૯૪૨૬૫ ૬૨૯૮૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:44 pm IST)