Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ત્રંબા પાસે ગઢકામાં ઘરના પહેલા માળેથી પડી જતાં ૩૦ વર્ષના વિનોદ બથવારનું મોત

બેભાન હાલતમાં ઉદયનગરના હિતેષભાઇ, ગંજીવાડાના સાહિલ અને ભગવતીપરાના મુકેશભાઇ ભોજીયાનું મોત

રાજકોટ તા. ૨૪: ત્રંબા નજીક ગઢકા ગામે રહેતો યુવાન ઘરના પહેલા માળે પાળીએ બેઠો હોઇ પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગઢકા રહેતો વિનોદ છગનભાઇ બથવાર (ઉ.વ.૩૦) ગત સાંજે આઠેક વાગ્યે ઘરના પહેલા માળેથી પડી જતાં માથામાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. પરેશભાઇ સાંગાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર વિનોદભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. અકસ્માતે પડી ગયાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

અન્ય બનાવમાં મવડી પ્લોટ ઉદયનગર-૧માં રહેતાં હિતેષભાઇ વાલજીભાઇ બોરીચા (ઉ.વ.૪૪) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃતક પાનની કેબીન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં ગંજીવાડા મેઇન રોડ પર મનિષ પાન સામે રહેતો સાહિલ પોપટભાઇ મુછડીયા (ઉ.વ.૧૬) બિમારીને કારણે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

ચોથા બનાવમાં ભગવતીપરા આશાબાપીર દરગાહ પાસે રહેતાં મુકેશ બાબુભાઇ ભોજીયા (ઉ.૨૫)ને ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બી-ડિવીઝનના પીએસઆઇ પી. બી. ત્રાજીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)