Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ઇમ્‍પોર્ટ એકસપોર્ટના કામ માટે જવાનું કહી નિકળ્‍યા બાદ સાવન અને નિકુલ લાપતા

નાનામવા રોડ રઘુનાથ પાર્કમાં રહેતા વૃધ્‍ધાએ માલવીયાનગર પોલીસમાં ગુમની નોંધ કરાવી

રાજકોટ તા. ર૪ :.. શહેરના નાના મવા રોડ રઘુનાથ પાર્કમાં રહેતો યુવાન અને ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં રહેતો તેનો ભાગીદાર બંને એક વર્ષ પહેલા ઇમ્‍પોર્ટ એક્ષપોર્ટના કામ માટે જવાનું કહી નિકળ્‍યા બાદ પરત ન આવતા માલવીયાનગર પોલીસમાં ગુમની નોંધ થઇ છે.

રઘુનાથ પાર્ક-ર માં રહેતો સાવન વિઠ્ઠલભાઇ તોગડીયા (ઉ.૩૧) અને તેનો ભાગીદાર નીકુલ દિનેશભાઇ પરસાણા (ઉ.૩૦) (રહે. ઇન્‍દ્રપ્રસ્‍થનગર શેરી નં. પ, અક્ષર માર્ગ) બન્ને ગત તા. ૧-૪-ર૧ ના રોજ પોતપોતાના ઘરે ‘ઇમ્‍પોર્ટએકસપોર્ટના કામ અર્થે પાંચ દિવસ માટે બહારગામ જઇએ છીએ' તેમ કહી ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા બંનેના પરિવારજનોએ બંનેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બંનેનો આજદીન સુધી કોઇ પતો ન લાગતા રઘુનાથ પાર્કમાં રહેતા વિજયાબેન વિઠ્ઠલભાઇ તોગડીયા (ઉ.વ.૬ર) એ માલવીયાનગર પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા હેડ કો. દીગ્‍પાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે. સાવને એમ.એસ.સી. સુધી અભ્‍યાસ કર્યો છે. તે પરણીત છે. અને મિત્ર નિકુલે પરસાણાએ અમદાવાદ નીરમા યુનિવર્સિટીમાં બાયોટેક સુધીનો અભ્‍યાસ કરેલ છે. તેણે સફેદ ટી શર્ટ અને ગુલાબી ટ્રેક પહેરેલ છે. જો કોઇને આ બંને જોવા મળે તો માલવીયાનગર પોલીસ મથક ફોન નંબર ૦ર૮૧ ર૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:26 pm IST)