Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

શ્રી આપાગીગાના ઓટલે ઐતિહાસિક અષાઢી બીજ મહોત્‍સવ

જય જગન્‍નાથજીના જયઘોષ સાથે ધ્‍વજારોહણઃ સંતોના શુભાષિસ, સ્‍વાદિષ્‍ટ મહાપ્રસાદ તેમજ સાધુ સંતોને ભેટપુજા પણ અપાશેઃ ધર્મપ્રેમી જનતાને મહંત નરેન્‍દ્રબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી)નું જાહેર નિમંત્રણ

રાજકોટઃ ચોટીલાથી રાજકોટ તરફ હાઈવે ઉપર પાંચ કિલોમીટર દુર અઢારેય કોમનું શ્રધ્‍ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર એવુ સુપ્રસિધ્‍ધ ધર્મસ્‍થાન એટલે શ્રી આપાગીગાનો ઓટલો, શ્રી આપાગીગાના ઓટલા ખાતે તા.૧ જુલાઈને શુક્રવારે અષાઢી બીજની દિવ્‍યાથી દિવ્‍ય અને ભવ્‍યાથી ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે.
શ્રી આપાગીગાના ઓટલા મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી)એ જણાવ્‍યું છે કે ભારતીય સંસ્‍કૃતિમાં તેહવારોનું ખુબ જ અનેરૂ મહત્‍વ હોય છે. જેમાં પણ અષાઢી બીજ સમગ્ર દેશભરમાં ખુબ જ ધામધુમથી ઉજવવાની આદી- અનાદી કાળથી પરમપરાઓ ચાલી આવે છે. વૈદીક પંચાગ મુજબ આ તહેવાર ૯ મહીનાનો બીજો દીવસ છે. તે દિવસ ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાના પર્વ તરીકે પણ ખુબ જ મોટાપાયે ગુજરાતભરના તમામ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત વગેરે શહેરો તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ઉનવવામાં આવે છે. જેમાં ભગવાન જગન્‍નાથજીની નગરયાત્રાઓ પણ કાઢવામાં આવતી હોય છે.
કવિઓ તેમજ લેખકોએ અષાઢ માસના અપાર ગુણગાનો ગાયા છે. અષાઢ જયારે ઓળધોળ બની ધરતી પર પોતાનું અંનરાધાર અમૃત વર્ષાવે છે. ત્‍યારે માનવજીવન ઉત્‍કૃષ્‍ઠ સાથે ખુશાલીથી ખુબ જ બળવતર બને છે. આવા પવિત્ર અષાઢી બીજના દિવસની રંગેચંગે ઉજવણી શ્રી આપાગીગાના ઓટલાના સ્‍થાપનથી દરવર્ષે શ્રધ્‍ધાપૂર્વક ઉજવવામાં આવે છે.
શ્રી આપાગીગાના ઓટલે તા.૧ જુલાઈના શુક્રવારે અષાઢી બીજના દિવસે સવારે ૯ વાગ્‍યે ૫૨ (બાવન) વીર ૬૪ (ચોષઠ)જોગણી ૯ (નવ) નાથ ૮૪ (ચોરયાસી) સિધ્‍ધ અને ૩૩ કોટી દેવી- દેવતાઓના પરમ પૂ.સદ્દગુરૂદેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના સંત સ્‍મરણો સાથે શ્રી રામદેવપીરજીનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આરાધના તેમજ પુજન કરવામાં આવશે. બહાર ગામથી પધારેલા સંતો- મહંતો તેમજ રમતા પંચના સાધુઓ તેમજ ખડદર્શન સાધુઓ વિગેરેને અમારી પરંપરાઓ મુજબ યથાશકિત ભેગપુજાઓ પણ દરેક સાધુઓને આપવામાં આવશે.
બપોરે સાધુ- સંતોની અલગ પંગતની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવશે. તેમજ બપોરે જમણવારમાં શુધ્‍ધ ઘીની મીઠાઈઓ શ્રી રામદેવપીરજી મહારાજની ખીર તેમજ ફરસાણ, દાળ- ભાત, ભજીયા, બે શાક, રોટલી વગેરેનો મહાપ્રસાદ પીરસવામાં આવશે. આ સ્‍થાન પર છેલ્લા એકદ દસકાથી દરેક સમાજના લોકો માટે ૨૪ કલાક રહેવા તથા જમવાની નાસ્‍તાની વિગેરે સુવિધાઓ કોઈપણ પ્રકારના જ્ઞાતિ- જાતિના ભેદભાવ વગર સંપૂર્ણપણે વિનામૂલ્‍યે આપવામાં આવે છે. અષાઢી બીજ મહોત્‍સવની ભવ્‍યાથી ભવ્‍ય ઉજવણી કરવાનું નકકી થતા સર્વે ધર્મપ્રેમી જનતામાં તેમજ સર્વે ભકતોમાં હરખની હેલી ચડી છે અને સૌ આનંદ વિભોર છે સ્‍થાનિક અને બહારગામના સર્વે ભાવિક ભકતજનોને ભગવાનના દર્શન તેમજ અષાઢી બીજનો મહાપ્રસાદ લેવા માટે સંતો- મહંતોના આર્શીવાદ મેળવવા માટે સૌને શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી) દ્વારા નિમંત્રણ અપાયું છે.

 

(10:40 am IST)